આપણું ગુજરાત

લેન્ડ રેવન્યુ એક્ટ અંગે ફેરવિચાર કરવા ગુજરાત સરકારે કમિટી રચી

અમદાવાદઃ રાજ્ય સરકારે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯, તેના સંલગ્ન નિયમો અને ઠરાવોની સમીક્ષા કરવા અને જરૂરી સુધારા સૂચવવા માટે એક સમિતિની રચના કરી છે.

નિવૃત્ત આઈએએસ અધિકારી સી. એલ. મીણાની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિમાં નિવૃત્ત આઈએએસ અધિકારીઓ એમ. બી. પરમાર અને અનીસ માંકડ, સભ્ય સચિવનો સમાવેશ થાય છે અને તેમને છ મહિનાની અંદર સરકારને પોતાનો અહેવાલ સુપરત કરવા માટે કહેવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ અંગેનું જાહેરનામું ૨૨ ડિસેમ્બરે બહાર પાડવામાં આવ્યું હતું.

જાહેરાત મુજબ, પેનલ કાયદા સાથે જોડાયેલા મહેસૂલ વિભાગના નિયમો, ઠરાવો અને માર્ગદર્શિકાઓની તપાસ કરશે અને યોગ્ય ફેરફારોની ભલામણ કરશે. આ સાથે વિવિધ ચુકાદાઓમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા અર્થઘટનને ધ્યાનમાં રાખી કાયદાની જોગવાઈઓની પણ સમીક્ષા કરશે.

સમિતિને બિલ્ડરો, વકીલો અને અન્ય હિસ્સેદારો સહિત વિવિધ સંગઠનો તરફથી મળેલા પ્રતિનિધિત્વના આધારે કાયદા અને નિયમોમાં સુધારા સૂચવવાનું કામ સોંપવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button