ગુજરાત સરકારનો માછીમારો માટે નિર્ણય: નવી સીઝન પૂર્વે બોટ માટે ડીઝલ વિતરણ શરૂ થશે

ગાંધીનગરઃ માછીમાર સંગઠનો દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવેલી રજૂઆતને હકારાત્મક વાચા આપતા મત્સ્યોદ્યોગ પ્રધાન રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક માછીમાર હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. ૧૬ ઓગસ્ટથી રાજ્યમાં શરૂ થઇ રહેલી નવી માછીમારી સીઝન માટે માછીમાર ભાઈઓને બોટ માટે ડીઝલ વિતરણ ૧૧ ઓગસ્ટથી જ શરુ કરી દેવામાં આવશે.
આ સંદર્ભે મત્સ્યોદ્યોગ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા પરિપત્રિત કરાયા મુજબ આગામી ૧૬ ઓગસ્ટથી નવી માછીમારી સીઝન શરુ થવા જઈ રહી છે. માછીમારી માટે જતા માછીમાર ભાઈઓની બોટ માટે સીઝન શરુ થાય ત્યારથી રાજ્ય સરકાર દ્વારા ડીઝલ વિતરણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓને માળખાકીય સુવિધાઓ માટે ₹1.50 કરોડ સુધીની સહાય
સીઝન શરૂ થવાના દિવસે જ ડીઝલ વિતરણ થતા બંદરો પર બોટનો ટ્રાફિક સર્જાય છે અને માછીમારોને વિવિધ અગવડતાઓ થાય છે. જેથી સીઝન શરુ થાય તે આગાઉ જ ડીઝલ વિતરણ માટેની પરવાનગી આપવા ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાંથી અનેક માછીમાર આગેવાનો અને સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
માછીમાર આગેવાનો અને સંગઠનોની આ રજૂઆત રાજ્ય સરકારને યોગ્ય જણાઈ આવતા, તાત્કાલિક ધોરણે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સીઝનની શરૂઆતમાં જ માછીમારો ભાઈઓને કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પાંચ દિવસ અગાઉથી એટલે કે, તા. ૧૧ ઓગસ્ટથી જ ડીઝલ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ મત્સ્યોદ્યોગ પ્રધાને ઉમેર્યું હતું