પેટાચૂંટણી પહેલાં ભાજપનો મોટો દાવ: વિસાવદરના 10 ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી મુક્તિ!
કૉંગ્રેસ અને આપ પાસેથી ચૂંટણીનો મુદ્દો જ છીનવી લીધો

અમદાવાદ: વિસાવદર બેઠક પર પેટાચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે અને આમ આદમી પાર્ટી વિસાવદર મત વિસ્તારમાં પુરજોશમાં પ્રચાર કરી રહી છે. જો કે વિસાવદર બેઠક પર ચૂંટણી ટાણે ભાજપે આ નિર્ણયથી મતદારોને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી છે. ગુજરાત સરકારે વિસાવદર તાલુકાના દસ ગામોને ‘પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા’માંથી મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયનો ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.ના ચેરમેન કિરીટ પટેલે આભાર માન્યો હતો.
શું છે આ નિર્ણય?
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પીયાવા, રાજપરા, જાવલડી, માણંદીયા, દુધાળા, મોટા કોટડા, શોભાવડલા(લશ્કર), ઘોડાસણ, મુંડિયા રાવણી, અને જાંબુડી ગામોને અગાઉ ભારતીય વન અધિનિયમ-1927ની કલમ-29 હેઠળ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ (સંરક્ષિત જંગલ) જાહેર કરવામાં આવ્યા હતા. સમસ્યા એ હતી કે, આ ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ જાહેર કરાયા તે પહેલાં અથવા તે અંગેની નોંધ મહેસૂલી રેકોર્ડમાં પડે તે દરમિયાન, કેટલીક જમીન ગૌચર, ભૂદાન, સાથણી, અથવા અન્ય હેતુઓ માટે ફાળવવામાં આવી હતી. આના કારણે સાથણી અને ભૂદાનમાં આપેલી જમીન અને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ તરીકે જાહેર થયેલી જમીનના સર્વે નંબર ઓવરલેપ (એકબીજા પર ચડી) થતા હતા.

હવે, રાજ્ય સરકારે તાજેતરમાં એવા વ્યક્તિગત ખાતેદારોને નિયમોનુસાર ફાળવવામાં આવેલી જમીન માટે ભારતીય વન અધિનિયમની કલમ-29માંથી તેને બાદ કરવા માટે નામદાર સુપ્રીમ કોર્ટમાં ‘Interlocutory Application (IA)’ (વચગાળાની અરજી) કરવાની મંજૂરી આપી છે.એકવાર સુપ્રીમ કોર્ટમાંથી આદેશ મળશે, ત્યારબાદ આવી જમીનોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટના નિયંત્રણમાંથી દૂર કરી શકાશે. આ નિર્ણયથી લાંબા સમયથી જમીનના પ્રશ્નોથી પીડાતા ખેડૂતો અને ગ્રામજનોને મોટી રાહત મળશે.
વિરોધ પક્ષ પાસેથી મુદ્દો ખેંચવાનો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે વિસાવદર બેઠકની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વિરોધ પક્ષ વિસાવદર બેઠકના ચૂંટણી પ્રચારમાં ઇકોઝોન અને પ્રોટેક્ટેડ ફોરેસ્ટના મુદ્દે સરકારના ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ આ પૂર્વે જ ભાજપે આ નિર્ણય લઈને આપ અને કોંગ્રેસ પાસેથી મહત્વનો મુદ્દો ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો છે. જો કે હવે આ મુદ્દાની કેટલી અસર ચૂંટણીમાં થાય છે તે આગમી સમયમાં જોવું રહ્યું.