ગુજરાતમાં ફાટ્યો કોરોનાનો રાફડો, એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ એક જ દિવસમાં 200થી વધારે કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે (9 જૂન) 235 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચ્યો હતો. જેમાંથી 33 હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને 1076 હોમ આઈસોલેશનમાં છે. 106 સંક્રમિતો કોરોના મુક્ત થયા હતા.
રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં નોંધાયેલા કોરોના કેસ
ગુજરાતમાં આઈપીએલ ફાઈનલ બાદ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા છ દિવસમાં જ 931 કેસ નોંધાયા હતા.
8 જૂનઃ 185
7 જૂનઃ 182
6 જૂનઃ 170
5 જૂનઃ 167
4 જૂનઃ 119
3 જૂનઃ 108

અમદાવાદમાં આજે કેટલા કેસ નોંધાયા
અમદાવાદમાં આજે વધુ 131 નવા કોરોના કેસ નોંધાયા હતા, એટલે કે દર કલાકે સરેરાશ 5 કેસ નોંધાયા હતા. શહેરમાં અત્યાર સુધીમાં 916 જેટલા કેસ નોંધાયા છે, જે પૈકી 646 જેટલા એક્ટિવ કેસ છે જ્યારે 268 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં કોરોનાથી વધુ એકનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત 16 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત થયું હતું. કિશોરીને બચાવવા ડોક્ટરો દ્વારા રેમડેસીવર અને ટોસીલીઝુમેબ આપવામાં આવી હતી છતાં તેનો જીવ બચ્યો નહોતો. કિશોરીને કોરોનાની સાથે હિપેટાઇટિસ-બીનું પણ નિદાન થયું હોવાથી હિપેરીનનું ઇન્જેક્શન પણ અપાયું હતું, પરંતુ તેના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નહોતો. શહેરમાં અત્યારે આવી રહેલા કોરોનાના દર્દીઓમાં કોઈને ટોસિલિઝુમેબ આપ્યાનો આ પ્રથમ કેસ હતો. જ્યારે અત્યાર સુધીમાં ચાર મહિલાનાં મોત થયાં છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
કોવિડ-19 ડેશબોર્ડ પ્રમાણે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6491 પર પહોંચી છે. કેરળ 1957 એક્ટિવ કેસ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે 1109 કેસ સાથે ગુજરાત બીજા ક્રમે છે.