આપણું ગુજરાત

ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી, જાણો શું છે મામલો…

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા ગુરૂવાર મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની કચેરી દ્વારા અટકાયત કરવામાં આવી હતી. રાજેશ સોનીની ધરપકડ થતાં રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. રાજેશ સોનીની સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા મોડી રાત્રે ધરપકડ અંગેની માહિતી કોંગ્રેસના કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપવામાં આવી હતી, જેના પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

શું લખ્યું હતું પોસ્ટમાં
રાજેશ સોનીએ 22 મે ના રોજ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, સૌનિકોને શ્રેય મળશે નહીં. એની ખાસ નોંધ લેશો. ઓપરેશન સિંદૂરમાં રાફેલ ઉડાવવાના ખર્ચ કરતા હવે ડબલ ખર્ચ આવનાર સમયમાં એમના ફોટા અન આ પ્રચાર પાછળ ખર્ચ કરી નાખશે.

શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર લખ્યું, જેમ કોઈ આતંકવાદીને પકડવો હોય તે રીતે ચાર વાગે એક સામાજિક આગેવાન અને રાજકીય કાર્યકર્તા રાજેશભાઈ ટી. સોનીની સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમના દ્વારા મુકાયેલી પોસ્ટને જોઈએ તો એમાં સ્પષ્ટ વાત માત્ર એટલી જ છે કે આપણી બહાદુર સેનાના સૈનિકોને તેમણે બતાવેલી બહાદુરીનો શ્રેય મળવો જોઈએ અને જે પ્રજાની તિજોરીના પૈસા છે એ પબ્લિસિટીમાં વાપરવા જોઈએ નહીં અને રાજકીય લાભ સિંદૂર ઓપરેશનના નામે લેવો જોઈએ નહીં.

દેશના તમામ નાગરિકોના મનમાં આ વાત પડી છે કે જે બહાદુરીપૂર્ણ કામ આપણી સેના કરે છે તેનો શ્રેય સેનાને જ મળવો જોઈએ. જે રીતે સરકાર પબ્લિસિટી કરે છે તે જોતા સૈનિકોને શ્રેય મળશે નહીં તેની ચિંતા વ્યક્ત કરી છે . માત્ર સેના માટે અવાજ ઉઠાવે અથવા તો એમને શ્રેય નહીં મળે એની ચિંતા વ્યક્ત કરે તો એનાથી ગુનો કેવી રીતે બને ? ગુજરાત પોલીસની જે સરકાર દ્વારા દુરુપયોગીતાથી કેસો કરાવવાની નીતિ રહી છે તેનો તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ખૂબ ઉધડો લીધો હતો અને પોલીસની ભયંકર ટીકા કરી હતી.

આશા રાખું છું કે પોલીસ ડહાપણ વાપરે અને રાજેશભાઈ સોની એ કોઈ આતંકવાદી નથી, એમની ભાવના સેનાને શ્રેય મળવો જોઈએ એ સ્પષ્ટ છે ત્યારે તેમને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. સેનાની પડખે સમગ્ર દેશ અને કોંગ્રેસ છે. જો માત્ર સેનાની તરફેણ કરવાથી ગુનો બનતો હોય તો મારા સહિત તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ સેનાની તરફેણમાં પોસ્ટ પણ મૂકશે અને અવાજ પણ ઉઠાવશે, તાકાત હોય તો અમને બધાને સરકાર જેલમાં નાંખે.

સ્વ મનમોહનસિંહ વડા પ્રધાન હતા ત્યારે ભાજપના અનેક નેતા અને સમર્થક મનફાવે તેવી હલકી અને ખોટી બાબતો લખતા હતા પરંતુ કેન્દ્રની કોંગ્રેસની કે રાજ્યોની સરકારે મૌલિક વાણી સ્વતંત્રતાને રોકવાનો કે કેસ કરવાનો પ્રયત્ન નહોતો કર્યો હતો.

કોંગ્રેસના સૂત્રો અને નેતાઓ દ્વારા એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રાજેશ સોનીની ધરપકડ પાછળ રાજકીય દબાણ જવાબદાર છે. જોકે, સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા આ મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

કોંગ્રેસની લીગલ ટીમે શું કહ્યું
રાજેશ સોનીની ધરપકડ થતા કોંગ્રેસના નેતાઓ અને લીગલ ટીમના સભ્યો ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ કચેરી પહોંચ્યા હતા. રાજકીય પોસ્ટ મુકવા બદલ ધરપકડ કરાઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. રાજકીય કિન્નાખોરી રાખીને કોંગ્રેસ નેતાની ધરપકડ કરાઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ મૂક્યો હતો. આ ઘટના ગુજરાતના રાજકારણમાં વધુ તણાવ ઊભો કરી શકે છે.

અમિત ચાવડાએ શું કરી માંગ
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પર લખ્યું, આપણી બહાદુર સેનાના સૈનિકોએ બતાવેલી બહાદુરીનો શ્રેય મળવો જોઈએ. ભારતીય સેનાના કામની પ્રશંસા કરવાનો હક દેશ દરેક નાગરિકનો છે, તે કોઈ ગુન્હાઈત પ્રવૃત્તિ નથી. વાણી સ્વતંત્રતા પર તરાપ મારનાર, પોતાની નાકામી, નિષ્ફળતા અને નબળાઈ છુપાવનાર આ ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસ પક્ષના અમારા સાથી રાજેશ સોનીની મધ્યરાત્રે સત્તાનો દુરુપયોગ કરીને સાઇબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવી તે અત્યંત નિમ્ન કક્ષાની અને નિંદનીય હરકત છે.

દેશની સુરક્ષા અને યુદ્ધના મામલે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુથી લઈને ડૉ. મનમોહનસિંહ વિરુદ્ધ બેફામ શબ્દપ્રયોગો કરવામાં બાકીના રાખનારી ભાજપ આજે વડા પ્રધાનને મુદ્દાસરના સવાલો કરવામાં આવે તેમાં સત્તાનો દુરુપયોગ કરી ધરપકડ કરી રહી છે જે લોકશાહીનું સરેઆમ હનન છે. અમારા સાથી રાજેશ સોનીને તાત્કાલિક અસરથી જામીન પર મુકત કરવામાં તેવી અમારી માંગ છે.

આપણ વાંચો : વિસાવદર પેટાચૂંટણી: ઇટાલિયાના ‘કૌભાંડ’ના આરોપો પર કિરીટ પટેલનો પલટવાર, “ખેડૂતનો રૂપિયો નહીં લઉં, ઝેર પી જઇશ!”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button