ગુજરાતના વર્ગ 3-4 ના ફિક્સ પગારદારોને વધારાના કાર્ય માટે ચાર્જ એલાઉન્સ ચૂકવવાની જાહેરાત…

ગાંધીનગર : ગુજરાત સરકારના વર્ગ 3-4ના ફિક્સ પગારના કર્મચારીઓને સોંપવામાં આવતા વધારાના કાર્ય માટે ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવશે. આ અંગે નાણાં વિભાગે પરિપત્ર જાહેર કરીને જાણકારી આપી હતી. નાણાં વિભાગના પરિપત્ર મુજબ, રાજ્ય સરકારના 3-4 વર્ગના ફિક્સ પગારના કર્મચારીને જૂના પગાર પ્રમાણે ચૂકવવામાં આવતા ચાર્જ એલાઉન્સમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં સમાન કેડરના ચાર્જ માટે 5 ટકા અને સિનિયર લેવલના વધારાના ચાર્જની સોંપણી પર 10 ટકા ચાર્જ એલાઉન્સ મળવાપાત્ર રહેશે.
10 ટકા ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવશે
ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિયેશન દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી સરકાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી રહી હતી, જેના પગલે નાણાં વિભાગે તાજેતરમાં બહાર પાડેલા આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે 20 ઓક્ટોબર, 2021 પછી નિમણૂક પામેલા અને હાલ ફિક્સ પગાર પર ફરજ બજાવતા કર્મચારીઓને પણ જો તેમને વધારાની જવાબદારી સોંપવામાં આવી હોય, તો 10 ટકા ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવશે.
ફિક્સ પગાર કર્મચારીઓને સીધી આર્થિક રાહત મળશે
આ અગાઉ આ લાભ માત્ર કાયમી થયેલા અથવા નિયમિત કર્મચારીઓને મળતો હતો, જેના કારણે વર્ગ-3ના ઘણા કર્મચારીઓ સાથે અન્યાય થતો હોવાની ફરિયાદો ઊઠી હતી. નાણાં વિભાગે બધા વિભાગો તથા જિલ્લા કચેરીઓને આ આદેશ તાત્કાલિક લાગુ કરવાની સૂચના આપી છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના હજારો ફિક્સ પગાર કર્મચારીઓને સીધી આર્થિક રાહત મળશે.



