ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળા મુદ્દે મુખ્ય મંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક, રોગ નિયંત્રણ અંગે નિર્દેશ આપ્યા…

ગાંધીનગર: ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી આ મિટિંગમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા. આ મિટિંગમાં તેમણે ગાંધીનગર મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્તપણે લેવાઈ રહેલા દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવા માટેના સૂચનો કર્યા હતા.
લીકેજીસના રિપેરીંગ કામ અગ્રતાના ધોરણે હાથ ધરાયા
આ બેઠકમાં ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરએ આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી કામગીરીની વિગતો મુખ્યપ્રધાનને આપી હતી. તેમણે કહ્યું હતું કે, હવે કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા 85 સર્વે ટીમ બનાવીને 1 લાખ 58 હજારથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ક્લોરિન ટેબલેટ્સ અને ઓ.આર.એસ. પેકેટ પણ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યાં છે. લીકેજીસના રિપેરીંગ કામ અગ્રતાના ધોરણે હાથ ધરાયા છે તેમજ તમામ પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…ગાંધીનગરમાં દૂષિત પાણીનો કહેર: ટાઇફોઇડથી 7 વર્ષની છોકરીનું મોત, 150થી વધુ દર્દી હોસ્પિટલમાં…

ફિલ્ડ વિઝિટ કરીને ગુણવત્તા ચકાસવા આદેશ
મુખ્યપ્રધાને પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવાના સઘન ઉપાયરૂપે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના સેમ્પલ દરરોજ લઈ તેની યોગ્યતા અને ક્લોરિનેશનના રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણ વ્યવસ્થા થાય તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. તે ઉપરાંત હાલ પાઈપલાઈન અંગેના જે કામો પ્રગતિમાં છે, તેની ફિલ્ડ વિઝિટ કરીને ગુણવત્તા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે વોટર ટેસ્ટીંગનો વ્યાપ વધારવા અને લીકેજીસ તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાઓ લેવા તાકીદ કરી હતી



