ઓલિમ્પિક માટે અમદાવાદમાં કરોડોની સરકારી જમીન ખાલી કરાવવા સરકારની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ : ઓલિમ્પિક ૨૦૩૬ ગુજરાતમાં યોજાશે એ નક્કી છે. ગુજરાત હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાતના આંગણે હવે ઓલિમ્પિક રમાશે. ત્યારે ગુજરાતમાં આ માટે આલીશાન તૈયારીઓ આરંભી દેવાઈ છે. ત્યારે ઓલિમ્પિક માટે મોદી સ્ટેડિયમની આસપાસ વિલેજ માટે જમીનની શોધ ચાલી રહી છે. ત્યારે હવે આસારામ આશ્રમ સહિત કબજાવાળી ૫૦૦ કરોડની જમીન ઓલિમ્પિક માટે ખાલી કરાવાશે. કુલ ૧૫,૭૭૮ ચોરસ મીટર જમીન
પરથી દબાણ દૂર કરવા માટે નોટિસ જાહેર કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારનું આગામી ભવ્ય આયોજન ઓલિમ્પક ૨૦૩૬ છે. જેના માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવાઈ છે. ત્યારે આ માટે આસારામ આશ્રમ ઉપરાંત આશ્રમ દ્વારા ગેરકાયદેસર રીતે કબજામાં કરાયેલી ૫૦૦ કરોડની જમીન માટે સરકારે નોટિસ ફટકારી છે. રાજ્ય સરકાર ઓલિમ્પિક વિલેજ માટે જગ્યાની શોધ કરી રહી હતી, ત્યારે સરકારની નજર આ કરોડોની જમીન પર પડી છે. જેને આશ્રમ દ્વારા કબજે કરવામાં આવી છે. રાજ્ય સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીના ભાગ રૂપે કરાવેલા સરવેમાં આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ આશ્રમે કરોડો રૂપિયાની જમીન કબજે કરી હોવાનું ધ્યાને આવ્યું છે. સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલાં રહેણાક મકાનોને પણ નોટિસ ફટકારી છે. જમીન માટે વણઝારા વાસના ૧૯ મકાન, શિવનગર વસાહતના ૧૨૬ મકાન, આસારામ આશ્રમ, સદાશિવ પ્રજ્ઞામંડળ અને ભારતીય સેવા સમાજને નોટિસ મોકલાઈ છે.