
જૂનાગઢઃ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ફરી એક વખત વિવાદમાં આવ્યા હતા. ભેંસાણ તાલુકાના હડમતીયા (વીશળ) ગામમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા. આ સમગ્ર વિવાદ એક દીવાલને લઈને ઊભો થયો હતો. જેને પગલે ગામમાં તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બંને પક્ષના વીડિયો વાયરલ થયા હતા.
શું છે મામલો
ગોપાલ ઇટાલિયાએ હડમતીયા ગામે એક બહેનના ઘરની આગળ બનેલી બેલાની દીવાલ હટાવી હતી. ઇટાલિયાનો આરોપ છે કે ભાજપના માણસોએ આ દીવાલ બનાવી છે અને તેઓ ગામડામાં ગરીબ માણસો હારે આટલી હદે અન્યાય કરી રહ્યા છે. ઇટાલિયાએ જણાવ્યું કે આ ગેટ આઠ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે અને આ મામલે કોર્ટમાં આઠ વર્ષથી કેસ ચાલી રહ્યો હોવા છતાં નિર્ણય ના લીધો.
તેમણે મામલતદાર સહિતના અધિકારીઓ પર ભાજપથી ડરવાનો આરોપ લગાવ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ પડકાર ફેંક્યો કે જો કોઈને તેઓ પાછા આવશે અને એ દીવાલની જેસીબીનો એક ટલ્લો મારી દેશે. તેમણે વધુમાં કહ્યું કે જે ભાજપવાળા મને ફાંસીએ ચડાવી દે હું જોવ છું કોણ મને કઈ ફાંસીએ ચડાવે છે. તેમણે ગામના લોકોને આ બહેનને ટેકો આપવા વિનંતી કરી હતી.
ગામના સરપંચે શું કહ્યું
ગોપાલ ઇટાલિયા દ્વારા દીવાલ હટાવવામાં આવ્યા બાદ ગામના સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો દ્વારા ફરીથી બેલાની દીવાલ ખડકી દેવામાં આવી હતી. ભેસાણ તાલુકા ભાજપના ઉપ પ્રમુખે ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું ઇટાલિયા ગામમાં અશાંતિ ફેલાવે છે. ગામના સરપંચ અને આગેવાનોએ સ્પષ્ટતા કરી કે આ મામલો છેલ્લા આઠ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે.
આ પણ વાંચો…ગોપાલ ઇટાલિયા-કાંતિભાઈ અમૃતિયા અમને-સામને, મોરબીમાં જામશે ચૂંટણી જંગ? જાણો છે મામલો…