આપણું ગુજરાત

AAP નેતા ઇસુદાન ગઢવીના ભાજપ પર આકરા પ્રહારો: “વિસાવદર બેઠક પર હાર સ્વીકારી, હવે ગુંડાગીરી પર ઉતર્યા”

વિસાવદર: ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. ઇસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે કે વિસાવદર બેઠક પર ભાજપે પોતાના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત આખી ફોજ ઉતારી દીધી હોવા છતાં, હવે તેઓએ પોતાની હાર સ્વીકારી લીધી છે અને “ગુંડાગીરી” પર ઉતરી આવ્યા છે.

ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, વિસાવદરમાં ભાજપને ગામડાઓમાં જાકારો મળી રહ્યો છે. ભાજપની સભાઓને મંજૂરી નથી મળી રહી, અને લોકો ભાજપના લોકોને ગામમાં એન્ટ્રી નથી આપી રહ્યા. તેમણે ઉમેર્યું હતું કે, લોકો ભાજપ દ્વારા ડરાવવા છતાં અડીખમ છે, ભાજપે પોતાની હાર સ્વીકારી લીધા બાદ એક “નવું ગતકડું” શોધ્યું છે.

તેમણે આક્ષેપ કર્યો કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જનસભા દરમિયાન ભાજપના ગુંડાઓએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને AAPના ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. ગઢવીએ આ ઘટનાને “લોકતંત્રની હત્યા” ગણાવી હતી અને કહ્યું હતું કે ભાજપ જ્યારે સીધી રીતે પહોંચી શકતી નથી ત્યારે “સામ, દામ, દંડ, ભેદ” અપનાવે છે. આપના પ્રદેશ અધ્યક્ષે એમ પણ કહ્યું કે, ભાજપ હાર ભાળીને રઘવાઈ થઈ છે અને જ્યાં પણ જાય છે ત્યાં માત્ર ગોપાલ ઇટાલિયાની જ વાત કરે છે. આ આક્ષેપો આગામી પેટાચૂંટણીમાં રાજકીય ગરમાવો વધારશે તેવી શક્યતા છે.

આપણ વાંચો : કડી-વિસાવદર પેટાચૂંટણી માટે કોંગ્રેસ કમર કસી: 40 સ્ટાર પ્રચારકો પ્રચાર કરશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button