આપણું ગુજરાત

લોકશાહીના વસ્ત્રાહરણ માટે દુશાશન નહીં, જરૂર છે ભરુચ લોકસભાના બંને મુખ્ય ઉમેદવારોની !

ભરુચ લોકસભા વિસ્તારમાં સતા માટે સાઠમારીએ ચઢેલા બે નેતાઓએ માત્ર પોતાની પાર્ટી જ નહીં,પરંતુ જનાદેશ જીતી જવાનો કેફ રાખી, કોનું રાજ ચાલશે ? તેવી ચડસા-ચડસી પર ઉતરી જઇ બુટલેગરના હામી અને બેફામ (ગેર) કાયદે વેંચાતા દારૂની કવોલિટી પર જ્યારે સરા જાહેર ચર્ચા કરી, ત્યારે –

‘ભારતના નભ પરથી તેજ તારલા ખરતા દીઠા
અને આગિયા અગણિત જ્યારે ઊંચા આભે ચઢતા દીઠા
સત્તાના સિંહાસન કાજે લડતા ને ઝ્ઘડતા દીઠા
તે દિ’ મે તો રાજઘાટ પર રાષ્ટ્રપિતાને રડતાં દીઠા’

ડેડીયાપાડા પંચાયત પાસે શુક્રવારે મોડી સાંજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવા આમને-સામને થઈ ગયા. તું ..તું .મૈ..મૈ..પર આવી ગયેલા રાજનેતાઓ સરા જાહેર પોલીસની હાજરીમાં શાબ્દિક ટપાટપી પર ઉતરી આવ્યા અને બંને નેતાઓના સમર્થકોને ‘નજરાણું’ થયું. પોલીસ મૂક પ્રેક્ષક બનીને મહાનુભાવોનો વાણી વિલાસ સાંભળવામાં ‘મગન’ થઈ ગઈ. લોકસભા ચૂંટણીનાં પરિણામો બાકી છે ત્યારે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ‘હદ અને વિસ્તાર’ કોનો તે મુદ્દે પણ જંગ છેડાઈ ગયો. 4 જૂને પરિણામો નક્કી કરશે કે આ વિસ્તાર કોનો ? કહેવાય છે કે સમયસર પોલીસ ના પહોચી હોત તો બંને નેતાઓ-કાર્યકરો વચ્ચે જોનારા કહે છે તેમ છૂટટા હાથની મારા-મારી પણ થઈ ગઈ હોત. આ સ્થિતિ અને શાબ્દિક યુદ્ધથી 4 જૂન પછી કોણ સંયમ જાળવી શકે તે કહેવું વધારે મુશ્કેલ છે.

ચૈતરના ‘વૈશાખી’ વાયરા

ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી મનસુખ વસાવા એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર લખ્યું કે, ‘ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટીડીઓને ધમકાવ્યા છે. ભાજપના લોકો ભેગા થાઓ અને તાલુકા પંચાત કચેરી પહોચો. હૂઁ નીકળી ગયો છુ’. હજુ જ્યાં મનસુખ વસાવા પહોચે જ છે ત્યાં તો ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે ઉપસ્થિત હતા. પછી બંને વચ્ચે જોરદાર બોલાચાલી પણ થઈ. આ બોલાચાલીનો વિડીયો વાઇરલ થતાં સમગ્ર ગુજરાતમાં બંને નેતાઓની છબી ધૂળ ધાણી થઈ ગઈ. શિસ્ત, સંયમ, સહકાર, સેવા, જ્ન-નેતા, બંધારણ આ તમામ શબ્દો માત્ર પોથી માના રિગણ રહી ગયા અને બંને વચ્ચે જાહેરમાં ભ્રસ્ટ્રાચાર અને બુટલેગર અને ( નેતાઓના મતે વેચાતા બેફામ ) દારૂની ક્વોલિટી સાથે રહેમ નજરે આ ધંધો ફૂલ્યો-ફાલ્યો હોવાની પણ ચડસા -ચડસી જોવા મળી હતી.

‘તારા જેવી કઈક ટોપી આવી ગઈ’- મનસુખલાલ

આખાય મામલામા પોતે પહોચે તે પહેલા ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થકો સાથે પહોચી જતાં, ગિન્નાયેલા સાંસદ મનસુખ વસાવાએ એક તબક્કે ધારાસભ્ય ચૈતર વસાવાને સંભળાવી દીધું કે, ‘તારા જેવી કઈક ટોપીઓ આવી ગઈ’. જો કે ચૈતર વસાવાએ આ પહેલા ચોથી જૂને તું સાંસદ રહીશ કે નહીં તેની ખબર પડશે’ કહેવાય છે કે આના જવાબમાં મનસુખ વસાવાનો પિત્તો ખસી ગયો હતો.

એક તરફ,વડાપ્રધાન મોદી,સંસદને લોકશાહીનું મંદિર સમજીને દંડવત કરે છે ત્યારે ,એક નેતા તો 6-6 ટર્મથી આ મંદિરમાં વિરાજિત છે. બીજા નેતાને ચૂંટણી પરિણામ પછી આ મંદિરના પગથિયાં ચઢવાના કોડ જાગ્યા છે. ત્યારે સમાજને લાગે છે કે ,દેશની લોકશાહીના વસ્ત્રાહરણ માટે આ સદીમાં દુશાશન નહીં હોય તો ચાલશે, માત્ર આવા નેતાઓ જ કાફી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત