કચ્છની કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ: ગણેશજીની મૂર્તિ ખંડિત કરી, મંદિર પર લીલો ધ્વજ લહેરાવ્યો…

ભુજ: વીતેલા ચાર દિવસ દરમિયાન ગુજરાતમાં સતત ચોથી વાર કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. ગત ૮મી સપ્ટેમ્બરે સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો અને વડોદરામાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ બાદ ગત મંગળવારે પાકિસ્તાનને અડીને આવેલા સરહદી કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા-જડોદર ગામે ગણપતિજીની મૂર્તિને ખંડિત કરી કોમી એખલાસ ડહોળવાની ચોંકાવનારી ઘટના સામે આવતાં ભારે ચકચાર પ્રસરી છે.
આ પણ વાંચો : સુરત બાદ Bharuch માં પણ પથ્થરમારાની ઘટના, ધાર્મિક ઝંડા લહેરાવતા બે જુથ આમને સામને આવ્યા
જાણવા મળતી વિગતો મુજબ, ત્રણ સગીરોએ કોટડા જડોદર ગામે સુરતની જેમ ભગવાન ગણેશજીની મૂર્તિ પર પથ્થરો ફેંક્યા હતા અને બાજુમાં આવેલા હિન્દૂ મંદિર પર ‘ચાંદ-તારા’ વાળો લીલો ધ્વજ ફરકાવી દીધો હતો. તેમના પથ્થરમારામાં ગણપતિની સૂંઢ ખંડિત થઇ ગઈ હતી જેને પરત સાંધી દેવામાં આવી હતી.
આ અત્યંત સંવેદનશીલ મામલા અંગે પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર વાઘમારેએ જણાવ્યું હતું કે, નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામમાં ઉભા કરાયેલા પંડાલમાં વિઘ્નહર્તાની મૂર્તિ ખંડિત થવા અંગે અને પંડાલની બાજુમાં આવેલા નાનકડા મંદિર પર લીલો ધ્વજ ફરકાવ્યો હોવાની માહિતી તેમને મળી હતી. બનાવ સ્થળે ધસી ગયેલી એલસીબી અને એસઓજી સહિત સમગ્ર જિલ્લાની પોલીસે ગણતરીના કલાકોમાં દુંદાળા દેવની મૂર્તિને પથ્થરો મારી મારીને ખંડિત કરનારા ત્રણ વિકૃત માનસિકતા ધરાવનારા સગીર અને અન્યોની અટકાયત કરી છે.
નખત્રાણા પોલીસ મથકમાં ગુનો દાખલ થઈ ગયો છે. કૂલ ૮ આરોપી છે અને તેમાંથી ૭ની ધરપકડ કરવામાં આવી છે. સગીર પર જુવેનાઇલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. કચ્છની તાસીર પ્રમાણે હાલ શાંતિનો માહોલ છે જોકે સલામતી ખાતર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હોવાનું બાગમારે ઉમેર્યું હતું અને લોકોને શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા તેમણે અપીલ કરી હતી.