Vibrant Gujaratને લીધે સરકારી કચેરીના સમયમાં થયો આ ફેરફાર | મુંબઈ સમાચાર

Vibrant Gujaratને લીધે સરકારી કચેરીના સમયમાં થયો આ ફેરફાર

અમદાવાદઃ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ યોજાવાને કલાકોની વાર છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ઘમા ફેરફારો કરવામાં આવ્યા છે. વાયબ્રન્ટના કારણે બુધવારે સચિવાલયના સમયમાં ફેરફાર રહેશે. તો ગાંધીનગરમાં સરકારી કચેરીના સમયમાં પણ ફેરફાર કરાયો છે. સરકારે આપેલી માહિતી અુનસાર સરકારી કચેરી સવારે 10:30ના બદલે 12 કલાકે શરૂ થશે. સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે. વાઈબ્રન્ટના કારણે પહેલીવાર સચિવાલયના સમયમાં ફેરફાર કરાયો છે.

આ અંગેના પરિપત્રમાં જણાવાયું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – ૨૦૨૪નો શુભારંભ વડાપ્રધાનના હસ્તે તા.૧૦/૦૧/૨૦૨૪ના રોજ થનાર છે. જેમાં દેશ વિદેશના ડેલીગેટ્સ, હેડ ઓફ સ્ટેટ્સ, હેડ્સ ઓફ ગવર્મેન્ટ, રોકાણકારો, ઉદ્યોગપતિઓ, કેન્દ્ર તથા વિવિધ રાજ્યના પ્રધાનો, સચિવો ઉદ્યોગગૃહના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહેનાર છે.


આ સમયગાળા દરમ્યાન મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર તરફ વી.વી.આઇ.પી મહાનુભાવોના વાહનોનો સતત આવરોજાવરો રહેશે. આથી મહાનુભાવોને મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર તથા હેલીપેડ એકઝીબીશન ગ્રાઉન્ડ, સેક્ટર – ૧૭, ગાંધીનગર તરફ જવાના રસ્તામાં ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તથા વી.વી.આઇ પી. ઓની સલામતીને ધ્યાને લેતા તા.૧૦/૦૧/૨૦૨૪, બુધવારના રોજ ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરીઓ શરૂ થવાનો સમય સવારે ૧૦:૩૦ ના સ્થાને બપોરે ૧૨:૦૦ વાગ્યાનો રહેશે, તેમ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

આ સાથે આવતીકાલથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે ત્યારે તેમના વિવિધ કાર્યક્રમોને અનુલક્ષીને ટ્રાફિક વ્યવસ્થાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આથી સામાન્ય નાગરિકોએ આ દિવસો દરમિયાન પોતાના કામકાજના સમયમાં એ પ્રમાણે ફરેફાર કરી અને પહેલેથી માહિતી મેળવી ચાલવાનું રહેશે.

સંબંધિત લેખો

Back to top button