અમદાવાદમાં પ્લેન અકસ્માતમાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણીનું નિધન

અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધનઃ સી.આર. પાટીલે આપી શ્રદ્ધાંજલિ
અમદાવાદઃ અમદાવાદના મેઘાણીનગર પાસે એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ થયાની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન રૂપાણીનું નિધન થયું હોવાના સમાચાર આવ્યા છે. તેઓ આ ફ્લાઈટમાં હતા કે નહીં તે મામલે ઘટના બાદ ઘણી અટકળો વાયરલ થઈ રહી હતી ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે તેમના નિધનના સમાચારને પુષ્ટિ આપી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
રૂપાણીના પત્ની અગાઉ પહેલા લંડન ગયા હોવાનું અને આજે રૂપાણી જતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સોશિયલ મીડિયા પર તેમના નામની એરટિકિટ વાયરલ થઈ હતી. અગાઉ ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા તેમના ગાંધીનગર ખાતેના નિવાસ્થાને પહોંચ્યા હતા.
તેમના રાજકોટ નિવાસસ્થાને પણ ભાજપના કાર્યકરોએ ભીડ જમાવી હતી. પ્લેનક્રેશના સમાચાર આવ્યા ત્યારે રાજકોટ ખાતે કાર્યકરોએ પ્રાર્થના અને ભજન પણ કર્યા હતા. જોકે કમનસીબે રૂપાણી આ ભયાવહ અકસ્માતના ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. તેમના પત્ની લંડનથી આવતીકાલે બપોર સુધીમાં ભારત આવશે, તેવી માહિતી પણ સૂત્રોએ આપી હતી.