સાવધાનઃ અમદાવાદમાં એક મહિનામાં ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળવાની પાંચની ઘટના
![European Union's biggest claim on Indian spices, warning issued on use](https://bombaysamachar.com/wp-content/uploads/2024/04/Yogesh-Dave-2024-04-25T134824.204.jpg)
અમદાવાદઃ ગુજરાતમાં કાફે, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણીની ચીજવસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની રહી છે. વધુ એકવાર અમદાવાદ શહેરના એસજી હાઈવે પર રાજપથ-રંગોલી રોડ પર આવેલા એક કાફેના બર્ગરમાંથી જીવજંતુ નીકળ્યું છે. બર્ગરમાંથી જીવજંતુ નીકળ્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં એક મહિનામાં જીવાત નીકળવાની પાંચમી ઘટના બની છે.
અલમાસ પઠાણ નામના યુવકે રાજપથ-રંગોલી રોડ પર આવેલા એક કેફેમાંથી ચાર આલુ બર્ગર ટીક્કી મગાવી હતી. જેમાં એકમાંથી બહાર થોડી જીવાત જેવું જોવા મળ્યું હતું. જેથી અંદર ખોલી અને જોયું તો તેઓને જીવાત જોવા મળી હતી. જીવાત નીકળી હોવાથી ત્યાં કેફેવાળા પાસે ગયા હતા અને તેઓને જીવાત નીકળેલી બતાવી હતી. આથી તેઓએ કહ્યું હતું કે, જેણે આ બર્ગર ટીક્કી બનાવી છે તેને અમે કાઢી મૂકીશું અને તમારે આગળની જે કાર્યવાહી કરવી હોય તે કરો. દરમિયાન અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમને જાણ થતાં એક ટીમ તાત્કાલિક કોર્પોરેટ કાફે ખાતે ચેકિંગ માટે મોકલવામાં આવી છે. કાફેમાં તપાસ કરી ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા 27મી જૂને અમદાવાદમાં અથાણામાંથી મરેલી ગરોળી નીકળી હતી. શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા જૈન ગૃહઉદ્યોગમાંથી એક મહિના પહેલાં અથાણું ખરીદ્યું હતું અને રોજબરોજ ખાતા હતા, જેમાં એકદમ નીચેના ભાગે પહોંચતાં એમાંથી ગરોળી નીકળી હતી.
આ ઉપરાંત અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી એક હોટલના પંજાબી શાકમાંથી પણ વંદો નીકળ્યો હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. 19મી જૂન 2024ના રોજ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એક ઢોંસાની રેસ્ટોરન્ટ એક ગ્રાહક પરિવાર સાથે જમવા ગયો હતો. તેમણે ઢોંસાનો ઓર્ડર આપ્યો હતો. ઢોંસા આપતાં પહેલા સંભારના જગમાંથી તેમણે વાટકીમાં જ્યારે સંભાર કાઢ્યો ત્યારે એમાં ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું, જેના કારણે તાત્કાલિક તેમણે રેસ્ટોરન્ટમાં હાજર વ્યક્તિને બોલાવી અને બતાવ્યું હતું. ખાણી-પીણીની ચીજવસ્તુઓમાંથી આ રીતે ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમને પણ ફરિયાદ કરી હતી.
26મી જૂનના રોજ અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં એક યુવકે સોડાની બોટલ ખરીદી અને પીધી હતી. ત્યારે અચાનક જ તેને ઊલટી થવા લાગી હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સોડાની બોટલમાં કાનખજૂરો નીકળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.