આપણું ગુજરાત

મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: બરવાળામાં છ કલાકમાં પાંચ ઈંચ, બોટાદમાં ઇકો કાર વોકળામાં તણાઈ, 2 મૃતદેહ મળ્યા

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે. આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આજે સવારે ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધીના માત્ર 6 કલાકના ગાળામાં રાજ્યના કુલ 116 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

ક્યાં કેટલો વરસાદ પડ્યો?

આ સવારના ટૂંકા ગાળામાં સૌથી વધુ વરસાદ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં ૫.૨૪ ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ઉમરાળામાં 4.53 ઇંચ, વલ્લભીપુરમાં 2.87 ઇંચ, સિહોરમાં 2.24 ઇંચ અને ભાવનગર શહેરમાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં ચુડામાં ૨.૯૧ ઇંચ, મુળીમાં ૨.૧૩ ઇંચ, વઢવાણમાં ૨.૦૧ ઇંચ, ચોટીલામાં ૧.૫૭ ઇંચ, સાયલામાં ૧.૩૮ ઇંચ અને થાનગઢમાં ૧.૧૮ ઇંચ પડ્યો હતો. બોટાદ જિલ્લાના રાણપુરમાં 2.68 ઇંચ, બોટાદ શહેરમાં ૨.૨ ઇંચ અને ગઢડામાં ૧.૩૮ ઇંચ નોંધાયો છે.

24 તાલુકાઓમાં 1 ઇંચથી 5 ઇંચ સુધીનો વરસાદ
અમદાવાદ જિલ્લાના ધોલેરામાં ૨.૬૮ ઇંચ અને ધંધુકામાં ૨.૪ ઇંચ, આણંદ જિલ્લામાં પેટલાદમાં ૨.૪ ઇંચ, ખંભાતમાં ૨.૦૫ ઇંચ, તારાપુરમાં ૧.૫૪ ઇંચ અને આણંદમાં ૧.૩૪ ઇંચ, રાજકોટમાં ૧.૭૩ ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.02 ઇંચ, જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ૧.૩ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 24 તાલુકાઓમાં 1 ઇંચથી 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

ભાવનગર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આજે બપોરે ૧ થી ૨ વાગ્યાની વચ્ચે શેત્રુંજી ડેમના અમુક દરવાજા ખોલવામાં આવી શકે છે, ડેમમાં જળસ્તર વધવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે પાલીતાણા તાલુકાના 5 ગામો અને તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા તમામ લોકોને સાવચેતી રાખવા અને નદી કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. આ સિવાય સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે.

આ પણ વાંચો -‏‏‎ મેઘરાજાએ સૌરાષ્ટ્રને બાનમાં લીધું; ગઢડામાં 14 ઇંચ વરસાદ, રાજ્યમાં મોસમનો સરેરાશ ૮% વરસાદ…

ઇકો કાર વોકળામાં તણાઈ

ભારે વરસાદના કારણે બોટાદ જિલ્લામાં ગંભીર ઘટના બની હતી. બોટાદના લાઠીદડ ગામે એક ઇકો કાર વોકળામાં તણાઈ ગઈ હતી. કારમાં સવાર આઠ લોકો પૈકી બેનો બચાવ થયો હતો, જ્યારે અન્ય ૬ લોકો લાપતા હોવાની વિગતો હતી. જે પૈકી બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે હજુ પાંચ લોકોની શોધખોળ ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button