જીએસટીની અનિશ્ચિતતાને કારણે ઇસબગુલ પ્રોસેસરો સોમવારથી બીજની ખરીદી નહીં કરે…

અમદાવાદ: ઓલ ઈન્ડિયા ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી ગુજરાતના હજારો ખેડૂતોને અસર થઈ શકે છે. જીએસટી વર્ગીકરણમાં સ્પષ્ટતાના અભાવે તેઓ 6 ઓક્ટોબર, 2025 થી સમગ્ર ભારતમાં એપીએમસી બજારો અને અન્ય સ્રોતો દ્વારા ખેડૂતો પાસેથી ઇસબગુલના બીજની ખરીદી બંધ કરશે.
ઓલ ઈન્ડિયા ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે 2017 થી વારંવાર રજૂઆતો કરવા છતાં, સરકારે ‘તાજા’ અને ‘સૂકા’ ઇસબગુલના બીજને જીએસટી હેઠળ કૃષિ પેદાશ તરીકે ગણવા કે પછી કરપાત્ર માલ તરીકે તે અંગે સ્પષ્ટતા કરી નથી. પ્રોસેસરોનો દાવો છે કે આ અનિશ્ચિતતાને કારણે જીએસટીમાં મોટા પ્રમાણમાં ભંડોળ બ્લોક થયું છે, જેનાથી નાણાકીય ખેંચનો અનુભવ થઈ રહ્યો છે. ઉપરાંત નિકાસ બજારોમાં તેમની સ્પર્ધાત્મકતા ઘટી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમેરિકાની સરકારે લાદેલા ટેરિફથી પહેલેથી જ અમારા શિપમેન્ટને નુકસાન થઈ રહ્યું છે, તેમાં GST પરની લાંબા સમયથી ચાલતી અનિશ્ચિતતાએ કામગીરીને અસહ્ય બનાવી દીધી છે. જ્યાં સુધી સરકાર સ્પષ્ટ નોટિફિકેશન બહાર નહીં પાડે, ત્યાં સુધી અમે ખરીદી ચાલુ રાખી શકીએ તેમ નથી. આ નિર્ણયની ખેડૂતો પર વ્યાપક અસર થશે. ખેડૂતોને ખરીદદારોના અભાવે તેમનો માલ વેચવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. તેમજ તેનાથી ભારતના ઇસબગુલની ભૂસીની નિકાસ પર પણ અસર પડશે.
આ પણ વાંચો…સારા સમાચાર: રવિ પાકોના ટેકાના ભાવમાં સરેરાશ ૪ થી ૧૦% નો વધારો; ઘઉં, ચણા, રાયડાના ભાવમાં મોટો વધારો