અમરેલીમાં કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાનો નકલી PA પકડાયો

અમરેલી: રાજ્યમાં આજકાલ નકલી વસ્તુઓનું ઘણું ચલણ જોવા મળી રહ્યું છે. નકલી કચેરી, નકલી ટોલનાકા, નકલી પોલીસ અધિકારીઓ એમ નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો હોય તેમ તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના ડમી PA બનીને ધમકાવવાની ઘટના સામે આવી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર મનોરોગી આશ્રમ આવેલો છે. જ્યાં નિરાધાર અને રખડતા ભટકતા મનોરોગીઓ કે જેને પોલીસ મૂકવા આવે છે. તેમને વિનામૂલ્ય દાખલ કરવામાં આવે છે. આશ્રમના ભક્તિ બાપુ અને વિશાળ સેવક સમુદાયો અને ટ્રસ્ટીઓ દ્વારા આ સેવામાં સહયોગ આપવામાં આવી રહ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં 116 પાગલ મહિલાઓ સાંજી થઈ પુનઃ સમાજમાં પ્રસ્થાપિત થઈ છે. આ આશ્રમના એક ટ્રસ્ટી કે જે પ્રસિદ્ધ લોકસાહિત્યકાર છે એવા મનસુખભાઈ વસોયાને એક અજાણ્યા નંબરમાંથી કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાનો PA બોલું છું તેમ કહી ધમકી આપતો ફોન આવ્યો.
ફોનમાં તેમને કોઈ પાગલ પુરુષને દાખલ કરવા માટેનું ખાસ દબાણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે મનસુખભાઈએ તેમને વિનંતી કરી અને જવાબ આપ્યો કે આ આશ્રમમાં ફક્ત મહિલાઓને જ દાખલ કરવામાં આવે છે. પુરુષોને દાખલ કરવામાં નથી આવતા. છતાં પણ ડમી PA દ્વારા તેમને કડક ભાષામાં વાત કરવાનું ચાલુ રાખ્યું અને થોડીવાર પછી બીજો ફોન આવ્યો કે તમારી 11 લાખની ગ્રાન્ટ કેન્સલ કરાવી છે, ત્યારે મનસુખભાઈએ કહ્યું કે આ આશ્રમ દાતાઓના દાનથી ચાલે છે, અહીં ક્યારેય સરકારી ગ્રાન્ટ આવી નથી.
આ પછી મનસુખભાઇએ ફોનની ક્લીપ કેન્દ્રીય પ્રધાનના કાર્યાલય ખાતે મોકલાવી દીધી હતી. જેને પગલે કાર્યાલય મંત્રી હિરેનભાઈ વાળાએ સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફોન કરીને ધમકી આપનાર શખ્સને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ સાવરકુંડલા પોલીસ આ શખ્સની આકરી પૂછપરછ કરી રહી છે.