ખીચડી કૌભાંડનો રેલો સંજય રાઉત અને તેમના પરિવાર સુધી પહોંચ્યો
![Hold elections on ballot papers in the country, not on EVMs: Sanjay Raut](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/nationalherald_2022-07_b4dcf9fd-39aa-4f43-be34-626a6dc26e5e_sanjay_raut-780x470.webp)
મુંબઈ: ઉદ્ધવ જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ ફરી એકવાર વધવા જઈ રહી છે. કોવિડ સમયગાળા દરમિયાન થયેલા ખીચડી કૌભાંડની તપાસ હવે સંજય રાઉત અને તેના પરિવાર સુધી પહોંચી છે. મુંબઈ પોલીસના ઈકોનોમિક ઓફેન્સ યુનિટ (EOW)ને તપાસમાં મોટા પુરાવા મળ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર ખીચડી કૌભાંડનો મામલો અંદાજે 6.37 કરોડ રૂપિયાનો છે. આ ખીચડી કૌભાંડની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસના EOWના જણાવ્યા અનુસાર, ખીચડીના પેકેટમાં 300 ગ્રામ કરતાં ઓછું વજન આપવામાં આવ્યું હતું.
આ કૌભાંડમાં સહ્યાદ્રી રિફ્રેશમેન્ટે BMC સાથે છેતરપિંડી કરીને રૂ. 6.37 કરોડની કમાણી કરી હતી, જેમાંથી આશરે રૂ. 1 કરોડ અલગ-અલગ ખાતાઓમાં મોકલવામાં આવ્યા હતા. EOW અનુસાર, 14.75 લાખ રૂપિયા સંજય રાઉતની પુત્રી વિધિતા સંજય રાઉતના ખાતામાં ગયા હતા અને સંજય રાઉતના ભાઈ સંદીપ રાઉતના ખાતામાં 7.75 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. આ સિવાય સંજય રાઉતના નજીકના સુજીત પાટકરના ખાતામાં 45 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા છે.
જ્યારે EOW અધિકારીઓએ સંદીપ રાઉતના બેંક વ્યવહારોની તપાસ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે સંદીપના ખાતામાં 8 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. EOW પાસેથી મળતી માહિતી મુજબ BMCએ ખીચડી બનાવવાનો કોન્ટ્રાક્ટ સહ્યાદ્રી રિફ્રેશમેન્ટને આપ્યો હતો.
તેના બેંક ખાતામાંથી સંદીપ રાઉતના ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જ્યારે અધિકારીઓએ સંદીપ રાઉતને આ નાણાકીય વ્યવહાર વિશે પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે તેમની 300 ચોરસ ફૂટ જગ્યા ખીચડી બનાવવા માટે વપરાતી હતી. તેના ભાડા તરીકે આ પૈસા લેવામાં આવ્યા હતા.
EOW અધિકારીઓ સંદીપ રાઉતની સ્પષ્ટતા સ્વીકારી રહ્યાં નથી કારણ કે મુંબઈમાં ત્રણથી ચાર મહિના માટે 300 ચોરસ ફૂટ જગ્યાનું ભાડું રૂ. 8 લાખ હોઈ શકે નહીં. EOWના એક અધિકારીએ જણાવ્યું કે રાઉતે આ સંબંધમાં કોઈ કોન્ટ્રાક્ટ લેટર કે સંબંધિત દસ્તાવેજો આપ્યા નથી. EOW એ પણ જાણવા માગ્યું હતું કે વિધિતા સંજય રાઉતના ખાતામાં 14.75 લાખ રૂપિયા કેવી રીતે આવ્યા.
EOW અધિકારી દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોરોના મહામારી દરમિયાન મહારાષ્ટ્રમાં પરપ્રાંતિય મજૂરોને ખીચડી વહેંચવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. વૈષ્ણવી કિચન/સહ્યાદ્રી રિફ્રેશમેન્ટમાં સુનીલ ઉર્ફે બાલા કદમને ખીચડી બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમની પાસે 5000 થી વધુ લોકો માટે ખીચડી બનાવવા માટે રસોડું ઉપલબ્ધ નહોતું.
BMCની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ કોન્ટ્રાક્ટ એવી સંસ્થા અથવા NGOને આપવામાં આવે કે જે 5000 થી વધુ ભોજન રાંધવા સક્ષમ હોય અને BMCના આરોગ્ય વિભાગનું પ્રમાણપત્ર ધરાવતું હોય. FIR મુજબ, BMCના તત્કાલિન આસિસ્ટન્ટ કમિશનરે કદમની અરજીના આધારે વૈષ્ણવી કિચન/સહ્યાદ્રી રિફ્રેશમેન્ટ્સને ખીચડી બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેની સાથે થયેલા કરાર મુજબ દરેક પેકેટમાં 300 ગ્રામ ખીચડી હોવી જોઈએ. EOWના જણાવ્યા અનુસાર ખીચડીના પેકેટમાં માંડ 100થી 200 ગ્રામ જેટલી જ ખીચડી આપવામાં આવી હતી. BMCએ ખીચડી બનાવવા માટે સહ્યાદ્રી રિફ્રેશમેન્ટ્સને કરોડો રૂપિયા ચૂકવ્યા હતા.