આપણું ગુજરાત

રામ મંદિરના ઉત્સાહમાં અમદાવાદની બજારોમાં દિવાળી જેવી રોનક, ‘થીમ બેઇઝડ માર્કેટ’ ઊભું થયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઘડી નજીક આવી રહી છે તેમ લોકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. અમદાવાદની બજારોમાં દિવાળી જેવો માહોલ છે. રોશની, રામ મંદિરની ડિઝાઇનના ફ્લેગ, ભગવાન રામની પ્રતિકૃતિના ખેસનું પુષ્કળ વેચાણ થઇ રહ્યું છે. આ ઉપરાંત ૨૨ જાન્યુઆરી માટે મીઠાઇના પણ એડવાન્સ બૂકિંગ થઇ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આગામી તા.૨૨મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. જેના માટે સરકારી કચેરીઓ, અનેક ખાનગી કંપનીઓ અને શાળોએમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં ખાસ કરીને કાલુપુર, ઢાલગરવાડ, માણેકચોક, નરોડા સહિતની બજારોમાં રામ મંદિર-ભગવાન રામની મૂર્તિ, રામ મંદિરની પ્રતિકૃતિ, ભગવાન રામની પ્રતિકૃતિ ધરાવતા ટી શર્ટ, ભગવાન રામના મહોરા, રામના ખેસ સહિતનું પુષ્કળ વેચાણ થઇ રહ્યું છે. રામ મંદિરની પ્રતિષ્ઠા થશે તે દિવસે ઘરને રોશની-ડેકોરેટિવ લાઇટથી શણગારવા પણ ભારે ખરીદી જોવા મળી રહી છે. રામ મંદિર-ભગવાન રામના ફ્લેગની સૌથી વધુ ખરીદી થઇ રહી છે. આ ફ્લેગનું રૂપિયા ૧૫૦થી વધુની કિંમતે વેંચાણ થાય છે.અમદાવાદની મીઠાઇની દુકાનમાં હજારો કિલોગ્રામ મીઠાઇના બૂકિંગ થઇ ગયા છે. બુંદી-મોતીચુરના લાડુ, પેંડા, મોહનથાળ જેવી પારંપરિક મીઠાઇઓ ઉપર વધારે પસંદગી ઉતારવામાં આવી રહી છે.

અમદાવાદના જાણીતા મીઠાઇના એક વેપારીએ કહ્યું હતુ કે, ‘સોસાયટી-ઓફિસમાં મીઠાઇના વેચાણ માટે એડવાન્સ બૂકિંગ થઇ ગયા છે. ગત વર્ષની દિવાળી કરતાં પણ રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા વખતે વધારે મીઠાઇનું બૂકિંગ થયું છે. ઓર્ડરને પહોંચી વળવા અમારે બહારથી વધારાના કંદોઇને બોલાવવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button