આપણું ગુજરાત

ડાંગરના પાકમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ છે? તો આટલા પગલા અપનાવો….

ડાંગરના ઊભા પાકમાં રોગ અને જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ડાંગર પાકમાં થતા રોગ અને જીવાતને અટકાવવા ફેરરોપણીના ૩૦ દિવસ બાદ હેકટરે ૩૦ ફેરોમોન લ્યુર સાથેના ટ્રેપ એક-બીજાથી સરખા અંતરે મૂકવા અને લ્યુર દર ત્રણ અઠવાડિયે બદલવા આ માર્ગદર્શિકામાં અનુરોધ કરાયો છે.

વધુમાં જણાવ્યા અનુસાર, ખેતરમાં રાત્રિના સમયે પ્રકાશપિંજર ગોઠવવું, જેથી ગાભમારાની ઈયળ તેમજ લશ્કરી ઈયળના પુખ્ત ફૂંદા આકર્ષીને તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય. ગાભમારા અને પાન વાળનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે ઇયળની માદા કૂદીએ મૂકેલ ઈંડાં પર પરજીવીકરણ માટે ટ્રાઈકોગ્રામા જાપોનીકમ અથવા ટ્રાઈકોગ્રામા ચીલોનીસ જાતોની ૦.૫ થી ૧૦ લાખ ભમરીઓ પ્રતિ હેકટર મુજબ ખેતરમાં છોડવી જોઈએ.

ગાભમારાની ઈયળ ડાંગરના થડમાં અંદર ભરાઈ રહી નુકસાન કરતી હોવાથી, રોપણી પછી ૩૦ થી ૩૫ દિવસમાં કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪જી ૨૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર અથવા કલોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ દાણાદાર ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર જેવા દાણાદાર કીટનાશકને રેતી સાથે ભેળવી પાણી નિતારીને જમીનમાં આપવા જોઈએ. જરૂર જણાય તો, ૧૫ દિવસ બાદ ફરીથી કીટનાશકનો ઉપયોગ કરવાથી ગાભમારાની ઈયળને નિયંત્રણમાં લઇ શકાય છે.

આ પણ વાંચો : કચ્છની દેશી ખારેકની ખેતી કેમ ઘટી છે…આના પર આ ફોરેન યુનિવર્સિટી કરશે સંશોધન

આ ઉપરાંત ડાંગરની ક્યારીમાં સતત મોજણી કરતાં ગાભમારાની ઈયળનો સ્પોટ જોવા મળે, તો તેવા ભાગમાં જ આ દાણાદાર કીટનાશક આપવું જોઈએ, જેથી ઓછા ખર્ચે આ જીવાતનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે. આ પ્રમાણે માવજત આપવાથી કરોળિયા, ઢાલિયા, વાલિયા જેવા ઉપયોગી પ્રાણીઓ ઉપર તેની સીધી અસર થતી નથી. ડાંગરની પાન ખાનાર ઈયળનો ઉપદ્રવ પ્રમાણમાં ઓછો દેખાય અને વિસ્તાર નાનો હોય તો, નુકસાનવાળા પાનને ઈયળઅને કોશેટા સહિત તોડી કે વીણીને નાશ કરવો જોઈએ. સાથે જ ખેતરમાં કરોળિયાની વસ્તી વધારવા રોપણી પછી ૧૫-૨૦ દિવસમાં ૮૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરમાં ઘઉં અથવા રજકાનું ભૂસું વેરવું જોઈએ.

વધુમાં, પાન વાળનાર અને ગાભમારાની ઈયળનો ઉપદ્રવ શરૂ થયેથી પ્રવાહી કીટનાશકો જોવા મળે તો 10 લી. પાણીમાં 3 મિલી કલોરાન્ટ્રાનિલીપ્રોલ 18.5 અથવા ફ્લુબેન્ડિયામાઈડ 480 એસસી અથવા 10 લી. પાણી 10 ગ્રા.મ. કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ 75 એસજી અથવા 10 લી. પાણીમાં 10 મિલી ઈન્ડોક્ઝાકાર્બ 15.8 ઇસીનો છંટકાવ કરવાથી રોગ નાશ પામે છે અને જરૂર જણાય તો બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો જોઈએ.

જ્યારે, ચૂસિયાં પ્રકારની ઈયળનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ ક્યારીમાંથી પાણી નિતારી કોરું-ભીનું કરવું. ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે તો 10 લી. પાણીમાં 6 ગ્રા.મ.પાયમેટ્રોઝીન 50 ડબલ્યુજી, 10 લી. પાણીમાં ૩મિ.લી. ઈમિડાક્લોપ્રીડ 17.8 એસએલ, 10 લી. પાણીમાં 2 ગ્રા.મ. થાયોમિથોક્ઝામ ૨૫ ડબલ્યુજી અથવા 10 લી. પાણીમાં 6 મિ.લી. બુપ્રોફેઝીન ૨૫ એસસી પ્રતિ હેકટર દીઠ 400 થી 500 લી. પાણી મુજબ છંટકાવ કરવો જોઈએ, જેથી ચૂસીયાં ઉપદ્રવનો નાશ કરી શકાય.

આ પણ વાંચો: જીઆઈ ટેગ મળ્યા પછી વૈશ્ર્વિક બજારમાં ‘કચ્છી સૂકો મેવો’ તરીકે ઓળખાતી ખારેકને મળ્યું પ્રાધાન્ય

આ ઉપરાંત લશ્કરી ઇયળ અથવા કટ વોર્મના નિયંત્રણ માટે ધરુવાડિયામાં સમયાંતરે પાણી ભરવું, જેથી ઈયળો જમીનમાંથી બહાર આવશે અને પક્ષીઓ દ્વારા ખવાઈ જશે. ત્યારબાદ જરૂરી નિતાર વ્યવસ્થા ગોઠવવી. વધુમાં, ખેતરમાં શેઢા પાળા ઉપર ઘાસ-કચરાની ઢગલીઓ કરવી અને દિવસ દરમિયાન ઢગલીઓ નીચે સંતાયેલી ઈયળો એકઠી કરી કેરોસીન વાળા પાણીમાં નાંખીને નાશ કરવો જોઈએ. ધરૂવાડિયાની ફરતે એકાદ ફૂટ ઉંડી ખાઈ ખોદવાથી આ ઈયળો તેમાં પ્રવેશી શકે નહિ. જ્યારે વધુ ઉપદ્રવ જણાય તો ૧.૫ ટકા ક્વિનાલફોસ ૨૫ કિ.ગ્રા. ભુકારૂપ કીટનાશકનો પ્રતિ હેક્ટરમાં સાંજના સમયે છંટકાવ કરવો જોઈએ.

વધુમાં જણાવ્યા અનુસાર ડાંગરના ભુરા કાંસિયા અને ઢાલપક્ષ ભૂંગાના નિયંત્રણ માટે ઉપદ્રવિત ખેતરમાં પાક પર દોરડું ફેરવવાથી પુખ્ત કીટક પાણીમાં પડી જશે. ત્યારબાદ પુખ્ત કીટકોને ભેગા કરી કેરોસીનવાળા પાણીમાં ડુબાડીને નાશ કરવો. આ જીવાતોનો ઉપદ્રવ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ જણાય છે, તો અસરગ્રસ્ત વિસ્તારમાં કીટનાશકોનો ઉપયોગ કરવાથી ઓછા ખર્ચે નિયંત્રણ થાય છે. જેમાં ૧૦ લી. પાણીમાં ૨૦ મિ.લી. ક્વિનાલફોસ ૨૫ ટકા ઇસી સાથે મિશ્ર કરી નુકસાન પામેલ વિસ્તાર (ટાલા)માં જ છંટકાવ કરવો. ધરો, દભ જેવા નીંદણો પર તેની વૃદ્ધિ થતી હોવાથી આવા નીંદણોનો નાશ કરવો જોઈએ.

પાનની કથીરી જીવાતનો ઉપદ્રવ વધુ જણાય તો કથીરીનાશક જેવી કે, ઈથીઓન ૫૦ ઇસી ૧૦ લી. પાણીમાં ૧૦ મિ.લી. અથવા ફેનપાયરોક્સીમેટ ૫ એસસી, પ્રોપરગાઈટ ૫૭ ઈસી, સ્પાયરોમેસીફેન ૨૪૦ એસસી અથવા ૧૦ લી. પાણીમાં ૧૫ મિ.લી. ક્લોરફેનપાયર ૧૦ એસસીનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત ડાંગરના ઊભા પાકમાં ઉંદરના નિયંત્રણ માટે ઝીંક ફોસ્ફાઈડની ર ટકા વિષ પ્રલોભિકા અથવા ૦.૦૦૫ ટકા બ્રોમોડીયોલોનની વેક્ષ કેક ઉંદરના જીવંત દર નજીક મુકવાથી ઉંદરડાઓથી પાકને બચાવી શકાય છે.

વધુમાં, દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ કે જીવાત માટેની દવા છે તે ભલામણને આધારે જ દવાઓનો વપરાશ કરવો જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ