હીરાઉદ્યોગમાં મંદીઃ તાપી નદીમાં ઝંપલાવીને રત્નકલાકારે ભર્યું અંતિમ પગલું…

સુરત: હીરા ઉદ્યોગમાં મંદીના અહેવાલો વચ્ચે તેની અસર લોકોના જીવનધોરણ પર પડી રહી છે, તેમાંય વળી હીરાઉદ્યોગમાં મંદીને કારણે ઘણા રત્નકલાકારોએ આપઘાત કરીને જીવન પણ ટૂંકાવી રહ્યા છે. તાજેતરમાં વધુ એક રત્ન કલાકારે તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાંથી નવું વર્ષ દીવમાં ઉજવવા જતાં પહેલાં વાંચી લો આ સમાચાર, નહીંતર…
દિવાળી પછી કામ જ ના મળ્યું
મળતી વિગતો અનુસાર સુરતના ઉધના વિસ્તારના વિજયનગરમાં પરિવાર સાથે રહેતા 25 વર્ષીય અનિકેત ઠાકોર છેલ્લા પાંચ વર્ષથી હીરા ઉદ્યોગમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આમ છતાં આ વર્ષે દિવાળી વેકેશન બાદ તેને કોઇ કામ મળ્યું નહોતું. નવા કામકાજ માટે અનેક પ્રયત્નો કરવા છતાં કામ મળતું નહોતું. આથી ઘરમાં આર્થિક મુશ્કેલીઓ શરુ થઇ હતી, ત્યાર બાદ નાસીપાસ થઈને અંતિમ પગલું ભરી લીધું હતું.
નદીમાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો
દિવાળીના વેકેશન બાદ તેને કોઈ પણ કામ મળતું નહોતું, તે રોજ કામ શોધવા માટે જતો હતો પરંતુ તેમ છતાં કોઇ કામ મળ્યું નહોતું. આથી ઘરેથી કામ શોધવા જઈ રહ્યો છે તેમ કહીને નીકળ્યા બાદ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. બાદમાં શોધખોળ કરતાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ તેના યુવકના મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ગોધરામાંથી એટીએસે બે શંકમંદોને ઝડપ્યા, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
મૂળ મહારાષ્ટ્રના રહેવાસી
મૃતકના સંબંધીએ સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અનિકેત ઠાકુર દિવાળી સુધી હીરાબજારમાં કામ કરતો હતો. દિવાળીના વેકેશન બાદ શોધવા છતાં નોકરી મળતી નહોતી. જેથી આ પગલું ભર્યું છે. પરિવાર સાથે ભાડાંના મકાનમાં રહેતો હતો. તે ઘરેથી નોકરી શોધવા જઉ છું તેમ કહીને નીકળી ગયો હતો. અમે તપાસ કરી તો બાઈક મળી અને ત્યાર બાદ બ્રિજ નીચેથી મૃતદેહ મળ્યો હતો. મૂળ મહારાષ્ટ્રના રહેવાસી હતો.