દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના: ૩૫૦ યુવાનોને રોજગારના નિમણૂક પત્રો અપાયા…

ગાંધીનગરઃ ગ્રામ વિકાસ પ્રધાન રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) અંતર્ગત “જોબમેળો અને એલ્યુમની મીટ” કાર્યક્રમ યોજાયો હતો.
ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ જોબમેળાને ગ્રામ વિકાસ પ્રધાને ખુલ્લો મૂક્યો હતો અને સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તે DDU-GKY હેઠળ તાલીમ પ્રાપ્ત કરીને રોજગારી મેળવેલ ૩૫૦ લાભાર્થીઓને રોજગાર નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ગ્રામ વિકાસ પ્રધાન રાઘવજી પટેલે રોજગારી મેળવનાર તમામ લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના યુવાધનને રોજગારીની સમાન તક અને લઘુત્તમ વેતનની બાહેંધરી પૂરી પાડતી “દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના” આજે ગુજરાતના યુવાધન માટે આશીર્વાદ બની છે.
લાભાર્થીઓને ઓછામાં ઓછા રૂ. ૧૦,૦૦૦ માસિક પગારની બાહેંધરી આપતી આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યના કુલ 30,000થી વધુ યુવક-યુવતીઓને વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસ તાલીમ અને ૨૩,૦૦૦થી વધુ લાભાર્થીઓને સફળતાપૂર્વક રોજગારી પ્રાપ્ત થઈ છે.
ગુજરાતનો દરેક યુવાન નોકરીસર્જક બનવા માટે પણ સક્ષમ
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે દેશમાં “સ્કિલ ઈન્ડિયા” અને “મેક ઇન ઈન્ડિયા” જેવા અભિયાનોથી ગામડાંના યુવાનોને આત્મનિર્ભરતાની નવી દિશા મળી છે.
તેમની જ પ્રેરણાથી ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ રાજ્યના યુવાધનને રોજગાર અને કૌશલ્યના નવા અવસર પ્રદાન કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે આજે ગુજરાતનો દરેક યુવાન ફક્ત નોકરી શોધક નહીં, પરંતુ નોકરીસર્જક બનવા માટે પણ સક્ષમ બન્યો છે, તેમ પ્રધાને ઉમેર્યું હતું.
આ પણ વાંચો…VGRC ખાતે પ્રદર્શિત થશે પીએમ મોદીનું ડેરી વિઝન: ઉત્તર ગુજરાતનું મોડેલ બન્યું પ્રેરણાસ્ત્રોત