આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં મેઘમહેર: 10 ડેમ છલકાયા, સૌરાષ્ટ્રના જળાશયોમાં સર્વાધિક જળસંગ્રહ…

ગાંધીનગરઃ ચાલુ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઇ ગયું છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-૧ અને સબુરી, જામગનર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ ૧૦ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા ભરાયા છે જેથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૨૯ જળાશય ૭૦થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરી છે.

૨૦૭ જળાશયમાં ૪૫.૦૧ ટકા જળસંગ્રહ
જળ સંપત્તિ વિભાગના જણાવ્યા અનુસાર ગત વર્ષે તેમ જ ચાલુ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના ૪૫.૦૧ ટકા જળ સંગ્રહ ઉપલબદ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના ૫૦.૧૫ ટકા પાણી સંગ્રહાયેલુ છે. ગત વર્ષે આ સમયે એટલે કે આજની સ્થિતિએ રાજ્યના ૨૦૭ જળાશયમાં ૩૮.૨૬ ટકા જળસંગ્રહ હતો.

સૌરાષ્ટ્રના જળાશયોમાં સૌથી વધુ ૪૮.૧૫ ટકા જળસંગ્રહ
સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયમાં સૌથી વધુ ૪૮.૧૫ ટકા જળસંગ્રહ, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૩.૮૦ ટકા જળસંગ્રહ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયમાં ૪૨.૦૩ ટકા, ઉતર ગુજરાતના ૧૫ જળાશયમાં ૩૩.૧૦ ટકા તેમ જ કચ્છના ૨૦ જળાશયમાં ૨૮.૭૨ ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યના ૨૫ જળાશય ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ૬૧ જળાશય ૨૫થી ૫૦ ટકા વચ્ચે જયારે ૮૨ જળાશય ૨૫ ટકાથી ઓછા ભરાયા છે.

હાલની સ્થિતિએ સરદાર સરોવરમાં ૧૮ હજાર ક્યુસેકથી વધુ, દમણગંગામાં ૧૬ હજાર ક્યુસેકથી વધુ, વંથલીના ઓઝત-વિઅરમાં ૧૩ હજાર ક્યુસેકથી વધુ તેમ જ ઓઝત-વિઅરમાં ૧૩ હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button