સાપુતારાની લીલીછમ વનરાજીને રાજ્ય સરકારનો મેઘ-મલ્હાર ફેસ્ટિવલ વધુ ‘ઘેઘૂર’ બનાવશે: કાલથી પ્રારંભ

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથો સાથ સ્થાનિક રોજગારીને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી પ્રવાસન વિભાગ અને ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024 ’નો પ્રારંભ સોમવારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરાવશે. વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની પ્રેરણા અને દિશા દર્શનમાં 2009 થી મોન્સૂન ફેસ્ટિવલ ની શરૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Tourism: વરસાદની ઋતુમાં પ્રવાસીઓને આકર્ષનાર સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ-2024નું 29 મીએ ઉદઘાટન
દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં તા. 29 જુલાઈ થી 28 ઓગસ્ટ-2024 એમ એક માસ સુધી સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.બોટ હાઉસ ગ્રાઉન્ડ, સાપુતારા ખાતે તા. 29 જુલાઇના રોજ પ્રવાસન નિગમની તોરણ હોટેલ સામેથી રંગબેરંગી પરેડ દ્વારા આ ફેસ્ટિવલ નો પ્રારંભ થશે. આ પરેડમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, મનોરંજક પાત્રો, અલગ-અલગ વેશભૂષામાં પાત્રો, ડાંગી આદિવાસી નૃત્ય તેમજ વિવિધ પ્રસ્તુતિ કરવામાં આવશે.રંગબેરંગી પરેડ બાદ સાપુતારા તળાવ પાસે તૈયાર કરવામાં આવેલ ડોમ માં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અંતે સાપુતારા સર્કલ પાસે મુખ્યમંત્રી, ‘રેઇન રન મેરેથોન’નો ફ્લેગ ઓફ કરાવશે.

આ ઉપરાંત પ્રવાસીઓ ડાંગની સ્થાનિક સંસ્કૃતિ સાથે પરિચય કેળવે અને સ્થાનિક કલાકારોને પણ વધુ રોજગારી મળી રહે તે હેતુથી કાર્યક્રમના મુખ્ય ડોમ ખાતે શુક્ર-શનિ-રવિ-જાહેર રજાના દિવસે તેમજ સાપુતારા મેઇન સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આગામી જન્માષ્ટમીના દિવસે ખાસ દહીં-હાંડી કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને સાપુતારા આજુબાજુ ના 18 જેટલા મુખ્ય જોવાલાયક સ્થળો માણવા મળશે, જેમાં, ઇકો ટુરીઝમ કેમ્પ સાઈટ-મહલ, એક્વેરિયમ, ઇકો પોઇન્ટ, ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, ગીરા ધોધ, ગવર્નર હિલ, હાથગઢનો કિલ્લો, મધમાખી કેન્દ્ર, સંગ્રહાલયો, નાગેશ્વર મહાદેવ મંદિર, પૂર્ણા અભયારણ્ય, રોઝ ગાર્ડન,સાપુતારા તળાવ, સાપુતારા આદિજાતિ સંગ્રહાલય, સ્ટેપ ગાર્ડન, સનરાઇઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ અને પ્રસિદ્ધ વાંસદા નેશનલ પાર્કનો સમાવેશ થાય છે. આ સાથે પેપર ક્રાફ્ટ વર્કશોપ અને તીરંદાજી પ્રેક્ટિસ સેશન, વારલીઆર્ટ ,હેન્ડીક્રાફ્ટ અને ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ પ્રવાસીઓને આકર્ષિત કરશે.
આ પણ વાંચો: સાપુતારામાં લક્ઝરી બસ ખાઈમાં ખાબકી, 65થી વધુ પ્રવાસી કરતા હતા મુસાફરી
સાપુતારાનું આહલાદક વાતાવરણ અને કુદરતી સૌંદર્ય હર હંમેશથી પ્રવાસીઓની પ્રથમ પસંદ રહ્યું છે. રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલની ફળશ્રુતિરૂપે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે.

ગુજરાતના ‘ચેરાપુંજી’ તરીકે ઓળખાતા સાપુતારામાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ 255 સે.મી જેટલો વરસાદ પડે છે જેથી આ પ્રદેશમાં કુદરતી વનરાજી સોળે કલાએ ખીલી ઉઠે છે જે રાજ્ય-રાજ્ય બહારના પ્રવાસીઓને વિશેષ રીતે આકર્ષિત કરે છે.
ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા દરિયાની સપાટીથી લગભગ 3000 ફૂટની ઉંચાઈએ આવેલું છે. ગુજરાત ટુરીઝમ દ્વારા સાપુતારાને ગેસ્ટહાઉસ, બગીચા, સ્વિમિંગ પુલ, બોટ ક્લબ, ઓડિટોરિયમ, રોપ વે અને મ્યુઝિયમ જેવી સુવિધા આપતું આયોજિત હિલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Tourism: સુંદર સાપુતારાને છોડી ગુજરાતીઓ કેમ ફરવા જઈ રહ્યા છે આ સ્થળે?
અખૂટ કુદરતી સૌન્દર્ય ધરાવતા ગિરિમથક સાપુતારા ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર ઉદ્ઘાટન સમારોહમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, વલસાડના સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ, વગેરે સહભાગી થશે.