સુરતમાં ભાઈબીજના દિવસે જ સામાન્ય પારિવારિક ઝઘડામાં બનેવીએ સાળાની હત્યા કરી નાખી | મુંબઈ સમાચાર
સુરત

સુરતમાં ભાઈબીજના દિવસે જ સામાન્ય પારિવારિક ઝઘડામાં બનેવીએ સાળાની હત્યા કરી નાખી

સુરત: શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં ભાઈબીજના પવિત્ર દિવસે જ સંબંધોને લાંછન લગાડતો એક બનાવ બન્યો હતો, જેમાં એક બનેવીએ સામાન્ય પારિવારિક ઝઘડામાં પોતાના સાળાની હત્યા કરી નાખી હતી.

અઠવા વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય યુવક સુરેશ રાઠોડ પર તેના બનેવી લાલા વસાવાએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો આરોપ છે.

મળતી વિગતો અનુસાર, મૃતક સુરેશ રાઠોડ ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ્પમાં નોકરી કરતો હતો. આરોપી બનેવી લાલા વસાવા પણ મૃતક સુરેશના ઘરની બાજુમાં જ રહેતો હતો.

આપણ વાંચો: અમદાવાદના આરટીઆઈ કાર્યકરની હત્યા મામલે માનવાધિકાર પંચે રાજ્યના પોલીસ વડાને નોટિસ પાઠવી

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, લાલા વસાવા અવારનવાર તેની ભાણી (મૃતક સુરેશની ભત્રીજી)ને માર મારતો હતો. જ્યારે બનેવી ભાણીને માર મારતો હતો, ત્યારે સાળા સુરેશ રાઠોડે બનેવીને આ બાબતે ટકોર કરીને ન મારવા જણાવ્યું હતું. બનેવી લાલા વસાવાને સાળાની આ વાતનું માઠું લાગી આવતા, તેણે વેર વાળવાનું નક્કી કર્યું હતું.

ગુસ્સામાં આવીને, લાલા વસાવાએ મોડી રાત્રે ઊંઘમાં પડેલા સાળા સુરેશ રાઠોડના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો, જેના કારણે સુરેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

હત્યાની ઘટના બાદ આરોપી બનેવી લાલા વસાવા ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી લાલા વસાવાની અટકાયત કરી લીધી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button