સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી અને કાર્યકર્તા વચ્ચે 'લાફાવાળી': વીડિયો વાયરલ થતાં ચકચાર | મુંબઈ સમાચાર
સુરત

સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી અને કાર્યકર્તા વચ્ચે ‘લાફાવાળી’: વીડિયો વાયરલ થતાં ચકચાર

સુરતઃ શહેરમાં ભાજપ કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલય આવ્યા હતા. ચા-નાસ્તાને લઈને તેમની પટાવાળા સાથે થોડી બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી અંગે પટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાણ કરી હતી. અચાનક જ ખજાનચી શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા સાથે વિવાદ શરૂ કરી દીધો હતો.

ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે કાર્યકર્તા દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો. આ ઘટનાથી કાર્યાલયમાં હાજર અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

આ પણ વાંચો : બેંકનાં ખોટા લેટરપેડનો ઉપયોગ બદલ સુરતનાં ભાજપ નેતાની ધરપકડ; પક્ષે કર્યા સસ્પેન્ડ…

કાર્યાલયની અંદર જ આ પ્રકારની ઘટના બનતાં સુરતના રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ હતી. સત્તાધારી પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વચ્ચે થયેલી આ મારામારીએ પક્ષની આંતરિક શિસ્ત અને સંકલન પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા. આ મામલે પક્ષ દ્વારા કોઈ શિસ્તભંગના પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.

આ સમગ્ર ઘટના ભાજપ કાર્યાલયના બીજા માળે આવેલા વેઇટિંગ રૂમમાં બની હતી. શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને કહ્યું હતું કે, ‘હું ખજાનચી છું અને મને જ બધું જોવાનું છે, તો અહીં વધારે આંટાફેરા નહીં માર.’ આ સમગ્ર ઘટના ત્યાં હાજર અન્ય કાર્યકર્તાઓ જોઈ રહ્યા હતા. શૈલેષે દિનેશને ધક્કો મારી દીધો હતો. આ શબ્દો બોલતા દિનેશભાઈએ માનસિક સંતુલન ગુમાવ્યું હતું અને અચાનક લાફાવાળી શરૂ કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button