સુરતઃ મુખ્ય પ્રધાને ખાડી પૂરના કાયમી નિરાકરણની ખાતરી આપી | મુંબઈ સમાચાર

સુરતઃ મુખ્ય પ્રધાને ખાડી પૂરના કાયમી નિરાકરણની ખાતરી આપી

સુરતઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે ખાડી પૂરના કાયમી નિરાકરણ માટે ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં સક્રિયપણે કામ કરશે. આ માટે બોક્સિંગ, સફાઈ અને દબાણ હટાવવા જેવા પગલાં લેવા અંગે પણ ચર્ચા થઈ હતી, જેમાં રાજ્ય સરકાર આર્થિક સહાય પૂરી પાડશે તેમ જણાવાયું હતું.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરતમાં કોર્પોરેટરો સાથે બે તબક્કામાં બેઠકો યોજી હતી. પ્રથમ તબક્કાની બેઠક પૂર્ણ થયા બાદ, તેમણે તાત્કાલિક અન્ય વિસ્તારોના કોર્પોરેટરો સાથે બીજા તબક્કાની બેઠક શરૂ કરી હતી.

આપણ વાંચો: સુરત મનપાએ ખાડી પૂરની સમસ્યાથી છુટકારો મેળવવા શું કર્યું આયોજન? જાણો વિગતો

સુરત શહેર-જિલ્લામાં સારા વરસાદના કારણે દર વર્ષે ખાડી પૂરની સમસ્યા સર્જાય છે. તાજેતરમાં આવેલા ખાડી પૂરથી શહેરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ સમસ્યાથી છુટકારો મેળવવા મનપા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

મળતી વિગત પ્રમાણે, સુરત શહેરમાંથી અને જિલ્લામાંથી પસાર થતી ખાડીની આજુબાજુ કોર્પોરેશનની જમીન, સરકારી જમીન અને સિંચાઈ વિભાગની જમીન આઇડેન્ટિફાય કરવાની સૂચના આપવામાં આવી હતી. ટેકનિકલ રીતે ખાડીના પાણી વહી શકે તેના માટેનો અભ્યાસ કરવામાં આવશે. ટેકનિકલ વિઝિબિલિટી અને તેના સોલ્યુશન ચકાસવા માટેની સૂચના આપવામાં આવી હતી.

સુરત મનપાએ ખાડી પૂરની સમસ્યાથી કાયમી છુટકારો મેળવવા ખાસ આયોજન કર્યું હોવાનો દાવો કર્યો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે ખાડીનું જીઆઈએસ મેપિંગ કરવા, ખાડીના પાણીને અવરોધતા લોકેશનનો સર્વે કરી 10 દિવસમાં રિપોર્ટ કરવા સિંચાઈ વિભાગને આદેશ કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: સુરતમાં ખાડી પૂર નિવારવા ધારાસભ્ય કુમાર કાનાણીનો CMને પત્ર: સર્વેની માંગ

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, સુરત શહેરમાં અને જિલ્લા વિસ્તારની અંદર ખાડીની અંદર દેખાતી રીતે અવરોધ હશે તેનો રિપોર્ટ તૈયાર કરશે અને તે રિપોર્ટના આધારે સુરત શહેરની અંદર જે વિસ્તાર હશે ત્યાં કોર્પોરેશન તેને દૂર કરવાની કામગીરી કરશે અને જિલ્લામાં જ્યાં અવરોધરૂપ હશે ત્યાં સિંચાઈ વિભાગ અને કલેક્ટર સંકલન કરીને કામગીરી કરશે. ફિઝિકલ ઇન્સ્પેક્શન અને ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવશે, જે સિંચાઈ વિભાગ દ્વારા થશે.

ધારાસભ્યએ મુખ્ય પ્રધાનને લખ્યો હતો પત્ર

સુરત શહેરમાં ખાડી પૂરની સમસ્યાના કાયમી નિવારણ માટે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો. કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું કે સુરતને ખાડી પૂરની પરિસ્થિતિમાંથી મુક્ત કરી શકાય તે માટે મથુરભાઈ સવાણીએ મુખ્ય પ્રધાન, સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને અધિકારીઓને પત્ર લખ્યો હતો. આ પત્ર સાથે ખાડી ડાઇવર્ટ કરવાના પ્લાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button