સુરત એરપોર્ટ સંલગ્ન અરજી પર વહેલી સુનાવણીનો હાઈ કોર્ટનો ઇનકાર: 16 જુલાઈએ સુનાવણી થશે

સુરત: 12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી. વર્ષ 2019માં ગુજરાત હાઇકોર્ટમાં સામાજિક કાર્યકર્તા વિશ્વાસ બાંભુરકર દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી.
જેમાં જણાવ્યા મુજબ સુરત એરપોર્ટની આસપાસ સુરક્ષાને ભયમાં મુકતા બાંધકામ થયા છે. જેને કારણે પેસેન્જર, ક્રુ મેમ્બર્સ અને આસપાસ રહેતા લોકોની સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો છે. આ બાંધકામ નિયમો વિરુદ્ધ થયેલા છે.
આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: શું બ્લેક બોક્સને તપાસ માટે અમેરિકા મોકલવામાં આવશે?
આવા ઊંચા બાંધકામ સાથે પ્લેનનો અકસ્માત થવાની અને મોટા પાયે જાનમાલની હાની થવાની પૂરી શક્યતા છે. એરપોર્ટની આસપાસ આવા ઉંચી બિલ્ડિંગોના બાંધકામની મંજૂરી હોઈ શકે નહીં. જેથી કરીને આવા ભયજનક અનધિકૃત બાંધકામને ઓળખીને તેને ખાલી કરાવીને એરક્રાફ્ટ એક્ટ 1984 મુજબ તેને દૂર કરવામાં આવે.
બાંધકામ કરનારાઓએ ભલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લીધું હોય તો પણ તેને તોડી પાડવું જરૂરી છે. લોકોના જીવનને ભયમાં મૂકનાર આવા બિલ્ડરો સામે દીવાની તેમજ ફોજદારી કેસ દાખલ કરવામાં આવે.
આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: ઇમરજન્સી પાવર સિસ્ટમ ઓન હતી? તપાસમાં નવો ખુલાસો
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ સુરતની અરજી ઉપર અરજદારે હાઇકોર્ટ સમક્ષ નિયત સમય કરતા વહેલી સુનાવણીની માગ કરી હતી. જેમાં ચીફ જજ સુનિતા અગરવાલની બેન્ચ સમક્ષ 19 જૂનના રોજ આ અરજી આવી હતી. જેમાં અરજદારે અમદાવાદ પ્લેન ક્રેશનું ઉદાહરણ આપી.
સુરતમાં પણ પ્લેન અકસ્માતની સંભાવના દર્શાવતા 47 હજાર લોકોના જીવ જોખમમાં હોવાનું જણાવ્યું હતું. અરજદારે કહ્યું હતું કે આ અરજી કરાઈ ત્યારે તેની સુનાવણી દરમિયાન તેમને કોર્ટમાં નીચા જોણું કરાયું હતું અને દંડ કરવા ચીમકીઓ ઉચ્ચારાઇ હતી. જો કે હાઇકોર્ટે અરજદારની વહેલી સુનાવણીની માગ નકારી નાખીને અને નજીકની પણ કોઈ તારીખ નહીં આપીને સુનાવણી પહેલેથી મુકરર 16 જુલાઈએ જ રાખી હતી.