સુરત એરપોર્ટ નજીક જોખમી બાંધકામ મુદ્દે આવતીકાલે હાઈ કોર્ટમાં સુનાવણી થશે

સુરતઃ અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સુરત એરપોર્ટ આસપાસ જોખમી ઈમારતો મામલે ગુજરાત હાઈ કોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીનો મામલો ફરી ચર્ચામાં આવ્યો હતો. આ મામલે આવતીકાલે ગુજરાત હાઈ કોર્ટમાં સુનાવણી થશે.
શું છે મામલો
વર્ષ 2019માં ગુજરાત હાઇ કોર્ટમાં સામાજિક કાર્યકર્તા વિશ્વાસ બાંભુરકર દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ સુરત એરપોર્ટની આસપાસ સુરક્ષાને ભયમાં મુકતા બાંધકામ થયા હતા. જેને લઈને પેસેન્જર, ક્રુ મેમ્બર્સ અને આસપાસ રહેતા લોકોના સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો હતો. આ બાંધકામ નિયમો વિરુદ્ધ થયા હતા.
આપણ વાંચો: જોખમી ઈમારતોમાંથી લોકોને બહાર કાઢવા મ્હાડાની નવી પોલિસી કેટલી કામ કરશે ?
આવા ઊંચા બાંધકામ સાથે પ્લેનનો અકસ્માત થવાની અને મોટાપાયે જામમાલની હાનિ થવાની પૂરી શક્યતા છે. એરપોર્ટની આસપાસ આવા ઉંચી બિલ્ડિંગોના બાંધકામની મંજૂરી હોઈ શકે નહીં. જેથી કરીને આવા ભયજનક અનધિકૃત બાંધકામને ઓળખીને તેને ખાલી કરાવીને એરક્રાફ્ટ એક્ટ 1984 મુજબ તેને દૂર કરવામાં આવે.
બાંધકામ કરનારાઓએ ભલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લીધું હોય તો પણ તેને તોડી પાડવું જરૂરી છે. લોકોના જીવનને ભયમાં મૂકનાર આવા બિલ્ડરો સામે દીવાની તેમજ ફોજદારી કેસ દાખલ કરવામાં આવે.
હાઇ કોર્ટે બિલ્ડિંગનો અનધિકૃત ભાગ તોડવા કલેકટરની મદદ કરવા પણ સુરત મહાનગરપાલિકાની સૂચન કર્યું હતું. સુરતનો જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે તે પ્રમાણે એર મુસાફરી વધવાની જ છે. અમદાવાદ પ્લેનની દુર્ઘટના બાદ અરજદારે આ મુદ્દે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.