સુરતમાં અષાઢી બીજે નહીં પણ પછીના દિવસે નીકળશે રથયાત્રા, જાણો શું છે વિશેષતા?

સુરતઃ અમદાવાદમાં નીકળનારી 148મી રથયાત્રાને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અમદાવાદ સિવાય રાજ્યના અનેક શહેરો, નગરોમાં પણ રથયાત્રા નીકળે છે. જોકે એક શહેરમાં અષાઢી બીજે નહીં પણ આ પછીના દિવસે રથયાત્રા નીકળે છે. મળતી વિગત પ્રમાણે, સુરતના વેસુ વિસ્તાર ખાતે આવેલા ઈસ્કોન મંદિરની રથયાત્રા અષાઢી બીજના ત્રીજા કે ચોથા દિવસે નીકળે છે. તેનું મુખ્ય કારણ જે ભક્તો મુખ્ય યાત્રામાં ભગવાનના દર્શન નથી કરી શકતા કે તેનો લ્હાવો નથી લઈ શકતા તે લોકો આ રથયાત્રામાં ભગવાનના દર્શન કરી શકે તેવો છે.
શું છે વિશેષતા
વેસુ ખાતે આવેલા ઈસ્કોન મંદિરની રથયાત્રા આગામી 29 જૂન એટલે કે રવિવારના રોજ નીકળશે. આ રથયાત્રાની વિશેષતા એ છે કે ભક્તો જ ભગવાનના વસ્ત્રો બનાવે છે અને ડિઝાઇન કરે છે. ઉપરાંત રથ રંગવાનું અને આકાર આપવાનું કામ પણ ભક્તો દ્વારા કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા વેસુ વિસ્તારના અલગ અલગ સોસાયટીઓ સહિત એપાર્ટમેન્ટોમાં જાય છે એટલે કે ભગવાન જાતે લોકોને દર્શન આપવા માટે તેઓના ઘર આંગણા સુધી જાય છે. આ રથયાત્રામાં હજાર કરતાં વધુ લોકો જોડાય છે અને 800 થી હજાર કિલોનો પ્રસાદ બને છે જે ભક્તોને વહેંચવામાં આવે છે. આ રથયાત્રા અષાઢી બીજના દિવસે નહીં પરંતુ તેના બે દિવસ બાદ નીકળતી હોવાથી અન્ય રથયાત્રા કરતા અલગ હોય છે.
આપણ વાંચો અમદાવાદ વિમાન દુર્ઘટનાના બાદ મેસમાં વિદ્યાર્થીઓ થયા એકત્ર, કર્યા પૂજાપાઠ…
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા માટે સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિમાં સહભાગી થઈને આરતી ઉતારી હતી, તેમજ ધ્વજારોહણ પણ કરાવ્યું હતું. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમગ્ર રૂટ પર પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું હતું.