ટોપ ન્યૂઝસુરત

નર્મદાના નાંદોદમાં 8 ઈંચથી વધુ વરસાદ, દોઢ દિવસમાં 16 ઈંચ વરસાદથી સુરતની બગડી સૂરત…

વરસાદની સ્થિતિને લઈ વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ

અમદાવાદ/સુરતઃ ગુજરાતમાં આજે પણ અનેક જિલ્લાના તાલુકાઓમાં વરસાદનું જોર યથાવત રહ્યું હતું. દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સાથે સુરત સહિત નર્મદા જિલ્લામાં વરસાદને કારણે જનજીવન પર અસર થઈ છે. સુરતમાં દોઢ દિવસમાં 16 ઈંચ વરસાદ વરસી જતાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે સુરતના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણથી લઈને ગળા સુધી પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાની સ્થિતિના કારણે સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. પાણીમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા ટ્રેક્ટર અને બોટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

120 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્રણ તાલુકામાં 7 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. નર્મદાના નાંદોદમાં સૌથી વધુ 8.66 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તિલકવાડામાં 7.13 ઈંચ, દાહોદમાં 6.26 ઈંચ, વાપીમાં 6.06 ઈંચ વરસાદ પડ્યો હતો.

જેતપુર પાવીમાં 5.98 ઈંચ, ધરમપુરમાં 5.67 ઈંચ, પારડીમાં 5.04 ઈંચ, ગરુડેશ્વરમાં 4.92 ઈંચ, વ્યારામાં 4.88 ઈંચ, બારડોલીમાં 4.88 ઈંચ, ગોધરામાં 4.61 ઈંચ, મોરવા હડફમાં 4.61 ઈંચ, ખેરગામમાં 4.57 ઈંચ, સંખેડામાં 4.41 ઈંચ, હાલોલમાં 4.21 ઈંચ, લુણાવાડામાં 4.06 ઈંચ, ડેડિયાપાડામાં 4.06 ઈંચ વરસાદ નોંધાયો હતો. બાકીના અન્ય તાલુકાઓમાં 0.04 ઈંચથી લઈ 3.98 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 59 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ પડ્યો હતો.

સુરતના તમામ વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેના કારણે ડાયમંડ સિટી જાણે બીચ સિટી બન્યું હોય તેવું લાગતું હતું. સુરત ખાડીમાં ત્રણ યુવક તણાયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા બે લોકોને બચાવાયા હતા, જ્યારે એકની શોધખોળ શરૂ કરી હતી. ખાડી પૂરના કારણે સરથાણા વિસ્તારમાં ઘૂંટણથી કમરથી સુધીના પાણી ભરાયા હતા. ખાડીના પાણી આખા સુરતમાં ફરી વળ્યા હતા, જેના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતા. બુલડોઝરની મદદથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

સુરતમાં જળબંબાકારના કારણે સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તેમ છતાં સરથાણા પોલીસના જવાનો લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. સરથાણા પોલીસના મહિલા એએસઆઈએ ગળાડૂબ પાણીમાં ત્રણ લોકોને રેસ્ક્યુ કર્યા હતા. આ ઉપરાંત સૂર્યપુર ગરનાળા પાસે ગળાડૂબ પાણી ભરાઈ જતાં બેંકના 13 કર્મચારીઓ ફસાઈ ગયા હતા. આ કર્મચારીઓનું પોલીસ જવાનોએ ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કર્યું હતું. પોલીસ જવાનોએ ગળાડૂબ પાણીમાં ઉતરીને આ બેંક કર્મચારીઓનું રેસ્ક્યુ કર્યું હતું. જેમાં જવાનોએ પોતાના જીવને જોખમમાં મૂકી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા જણાવ્યું હતું.

એન. ડી. આર. એફ.ના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન. ડી. આર. એફ. તથા એસ. ડી. આર. એફ.ની કુલ ૩૪ ટીમ જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત, ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

આ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિજિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના ૨૦૬ જળાશય પૈકી ૧૫ જળાશયો હાઇએલર્ટ, ૧૨ જળાશયો એલર્ટ પર તથા ૧૧ જળાશયો વોર્નિંગ પર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button