
સુરત : ગુજરાતના અમદાવાદ અને મહારાષ્ટ્રના મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કાર્યની વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ સમીક્ષા કરશે. દેશના દેશના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોરના કાર્યની સમીક્ષા કરવા પીએમ મોદી સુરત પહોંચશે. આ 508 કિમી લાંબા કોરિડોરના પ્રથમ તબક્કા હેઠળ સુરત-બિલીમોરા સેક્શન પર ડિસેમ્બર 2027 માં ટ્રાયલ રન શરૂ થવાની ધારણા છે. પીએમ મોદી સુરતના અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે.
બુલેટ ટ્રેન કોરિડોરમાં નદી પર કુલ 25 પુલ
આ કાર્યની પ્રગતિ અંગે મળેલી માહિતી મુજબ ગુજરાતના વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદીના પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં પૂર્ણ થનારા 21 નદીના પુલોમાંથી આ 17 મો છે. 80 મીટર લાંબો પુલ પશ્ચિમ રેલ્વેની વડોદરા-સુરત મુખ્ય લાઇન પાસે આવેલો છે. આ પુલમાં ત્રણ સ્પાન છે. જેમાં એક નદીના પટમાં અને દરેક બાજુ બે છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં નદી પર કુલ 25 પુલ છે. જેમાં 21 ગુજરાતમાં અને ચાર મહારાષ્ટ્રમાં છે.
મહારાષ્ટ્રમાં ઘનસોલી અને શિલફાટા વચ્ચે ટનલનું કામ પૂર્ણ
જયારે આ વર્ષે જુલાઈમાં મહારાષ્ટ્રમાં ઘનસોલી અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટરની દરિયાઈ ટનલના પ્રથમ 2.7 કિલોમીટરના ભાગનું બાંધકામ પૂર્ણ થયું હતું. સપ્ટેમ્બરમાં શિલફાટા અને ઘનસોલી વચ્ચે 4.88 કિલોમીટર લાંબી ટનલનું ખોદકામ પણ પૂર્ણ થયું હતું. આ ઉપરાંત, બુલેટ ટ્રેન માટે ટ્રેક, ઓવરહેડ ઇલેક્ટ્રિકલ વાયરિંગ, સ્ટેશન અને પુલ નાખવાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.
15 નદી પર પુલનું કાર્ય પૂર્ણ
રેલ્વે મંત્રાલય દ્વારા જુલાઈમાં જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, પ્રોજેક્ટ હેઠળ 15 નદી પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ચાર પુલનું બાંધકામ અંતિમ તબક્કામાં છે. 12 સ્ટેશનોમાંથી પાંચ પૂર્ણ થઈ ગયા છે, અને ત્રણ વધુ પર કામ હવે અંતિમ તબક્કામાં છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, “BKC સ્ટેશન એન્જિનિયરિંગનો અજાયબી હશે.” આ સ્ટેશન જમીનના સ્તરથી 32.5 મીટર નીચે સ્થિત હશે અને તેનો પાયો એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તેની ટોચ પર 95-મીટર ઊંચી ઇમારત બનાવી શકાય.
આ પણ વાંચો…પીએમ મોદી અંત્રોલી સ્ટેશનની મુલાકાત લઈ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કરશે સમીક્ષા



