સુરતમાં બીઆરટીએસ બસમાં છતમાંથી પાણી ટપકતાં મુસાફરોએ છત્રી લઈને બેસવું પડ્યું

સુરતઃ શહેરમાં બીઆરટીએસનો એક વીડિયો વાયરલ થયો હતો. બસની છતમાંથી પાણી ટપકતાં મુસાફરોએ છત્રી લઈને બેસવું પડ્યું હતું. મળતી વિગત પ્રમાણે સરથાણાથી કોસાડ જતી બીઆરટીએસ બસમાં કેટલાક મુસાફરોએ પાણીથી બચવા માટે છત્રી ખોલીને મુસાફરી કરી હતી.
સુરતમાં એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે બીઆરટીએસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાનો મહત્ત્વનો ભાગ છે ત્યારે આવી બેદરકારી સામે આવતા નાગરિકોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર સુરત મહાનગરપાલિકાને ટેગ કરીને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવા અને બીઆરટીએસ બસોની જાળવણી સુનિશ્ચિત કરવા માગ કરી રહ્યા છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો વરસાદની મોસમમાં મુસાફરોની હાલાકી વધુ વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં બીઆરટીએસ બસ સેવા 26 જાન્યુઆરી, 2014 ના રોજ શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં, ઉધના દરવાજાથી સચિન જીઆઈડીસી નાકા સુધીનો પ્રથમ તબક્કો કાર્યરત થયો હતો.
આ પણ વાંચો… ફેશન ડીઝાઈનર કીર્તિ પટેલ કેવી રીતે બની ગઈ વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર, વિવાદ સાથે છે ઉંડો નાતો