સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને 5 દિવસના કામચલાઉ જામીન મળ્યા…

સુરતઃ સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈના કોર્ટે 5 દિવસના કામચલાઉ જામીન મંજૂર કર્યા હતા. નારાયણ સાંઈ લાજપોરથી જોધપુર જઈ શકશે. પરંતુ 5 દિવસમાં જોધપુરથી લાજપોર આવવું પડશે. તેમજ પોલીસના જાપ્તા સાથે જ જોધપુર જવાની મંજૂરી આપવામાં આવી હતી. તમામ ખર્ચ નારાયણ સાંઈએ ભોગવવાનો રહેશે. આસારામ યૌન શોષણના આરોપમાં જોધપુર જેલમાં બંધ છે. તેનો પુત્ર નારાયણ સાંઈ પણ દુષ્કર્મના આરોપમાં સુરતની લાજપોર જેલમાં બંધ છે.
થોડા મહિના પહેલાં ગુજરાત હાઈ કોર્ટે નારાયણ સાંઈને પિતા આસારામને મળવા માટે માનવતાના ધોરણે હાઈકોર્ટે જામીન આપ્યા હતા. સુરતની લાજપોર જેલમાં બંધ નરાધમ નારાયણ સાંઈને પિતા આસારામ સાથે જોધપુર જેલમાં ચાર કલાક મુલાકાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
શું છે મામલો
વર્ષ 2013માં સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેમના પિતા આસારામ પર દુષ્કર્મ મામલે ફરિયાદ દાખલ કરી હતી. તેમના કહેવા પ્રમાણે તેઓ 1997થી 2006 વચ્ચે અમદાવાદમાં આવેલા આસારામના આશ્રમમાં રહેતાં હતાં. આ સમયગાળા દરમિયાન આસારામે તેમના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેને પગલે આ કેસમાં કોર્ટે નારાયણ સાંઈને દોષિત જાહેર કર્યો હતો.