સુરતમાં 21 કૃત્રિમ તળાવોમાં શ્રીગણેશજીની 80 હજારથી વધુ મૂર્તિઓનું ઇકો-ફ્રેન્ડલી વિસર્જન

સુરત: શહેરમાં પર્યાવરણની જાળવણી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલને ભવ્ય સફળતા મળી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન મુજબ, શહેરના 21 કૃત્રિમ તળાવોમાં ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિથી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
6 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 6 વાગ્યાથી 7 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 79,835 ગણેશ પ્રતિમાઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન થયું હતું. આ પ્રશંસનીય પગલાથી તાપી નદી અને અન્ય જળાશયોમાં થતા પ્રદૂષણને અટકાવી શકાયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને કૃત્રિમ તળાવોનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી, જેને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવેલા તળાવો પર વિસર્જનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી લોકોને કોઈ અગવડ ન પડે. આ સફળ આયોજન પર્યાવરણ પ્રત્યે સુરતના લોકોની જાગૃતિ અને જવાબદારી દર્શાવે છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ-૨૦૨૫ માં કૃત્રિમ તળાવોમાં કરવામાં આવેલ ગણેશજીની પ્રતિમાઓનાં વિસર્જનની આપવામાં આવેલી માહિતી અનુસાર અઠવા ઝોનમાં 4012 મૂર્તિઓ, વરાછા ઝોન એમાં 5870 મૂર્તિઓ, વરાછા ઝોન બીમાં 8072 મૂર્તિઓ, લિંબાયત ઝોનમાં 24466 મૂર્તિઓ, ઉધના ઝોન એમાં 3756 મૂર્તિઓ, ઉધના ઝોન બીમાં 1635 મૂર્તિઓ, રાંદેર ઝોનમાં 3433 મૂર્તિઓ, કતારગામ ઝોનમાં 10657 મૂર્તિઓ તેમજ ઓવારા ખાતે 9323 મૂર્તિઓની વિસર્જન કરવામાં આવ્યું હતું.
તે ઉપરાંત સ્વચ્છ શહેરના બહુમાનને યથાવત રાખવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા વિસર્જન બાદ તાત્કાલિક સફાઈ અભિયાન આદરી દેવાં આવ્યું હતું. વિસર્જન બાદ તમામ ૯ ઝોનમાં કુલ ૩૬૮ રૂટ પરથી ૩,૮૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ, ૩૦૦ સુપરવાઇઝર્સ, ૨૦ ટ્રક અને મશીનરી સાથે તેમજ ૫૦૦ જેટલા વાહનો દ્વારા સફાઈ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…લાલબાગચા રાજાના વિસર્જનમાં વિઘ્ન: હવે આ સમયે વિસર્જન થશે, જૂની બોટ પાછી લાવવામાં આવી…