..તો ગુજરાતની શાળાઓમાં મોબાઈલના વપરાશમાં સરકાર મૂકી શકે પ્રતિબંધ, જાણો કારણ?

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ લઇ લીધો હતો. જેથી તેને લાગી આવતાં આપઘાત કર્યો હતો. 14 વર્ષીય દીકરીના આ પગલાથી તેના માતા-પિતા પણ ચોંકી ગયા હતા. ઉપરાંત જે લોકોએ મોબાઇલને લઇ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાની ઘટના સાંભળી તેઓ પણ દંગ રહી ગયા હતા.
આ ઘટના અંગે રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું, સુરતની 14 વર્ષની દીકરીને તેના શૈક્ષણિક અને ભવિષ્યના હિતમાં માતા-પિતાની સમજાવટ છતાં થયેલા દુરાચરણ અને આપઘાતની ઘટના ખૂબ જ દુ:ખદ છે. રાજ્ય સરકાર આ ઘટનાને ગંભીરતાથી લે છે અને દુઃખની આ ઘડીમાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. આવી ઘટનાઓ રાજ્યમાં ફરી ન બને તે માટે શાળા, પરિવાર અને સમાજ વચ્ચે મજબૂત સંવાદ વધારવો અગત્યનું છે.
આ પણ વાંચો: ડમી શાળાઓ સામે શિક્ષણ બોર્ડની લાલ આંખ; આજથી DEO ડમી વિદ્યાર્થીઓ શોધશે…
તેમણે વધુમાં જણાવ્યું કે, આ પ્રકારની પરિસ્થિતિઓ અટકાવવા વાલીઓને ડિજિટલ ડિવાઇસના સદુપયોગ માટે જાગૃતિ લાવવી પડશે. આ માટે ન માત્ર શાળાઓમાં પરંતુ સામાજિક સ્તરે પણ મૂલ્યવર્ધક અભિગમ અપનાવો જોઈએ. હાલ જે પણ શાળામાં મોબાઈલ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેવી રાજ્યની તમામ શાળાને અભિનંદન પાઠવું છું. આ સામુહિક ચિંતનનો વિષય છે. વાલીઓ અને શિક્ષકોના સહિયારા પ્રયાસ તેમજ સરકારના ચુસ્ત નિયમોના અમલીકરણથી બાળકોની ભાવનાત્મક જરૂરિયાતોને સમજીને મોબાઈલ એડિક્શન દૂર કરી શકાય છે.
રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ ઉમેર્યું કે, મોબાઈલ ઉપયોગ અંગે જાગૃતિ સાથે વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે મોબાઈલ અને અન્ય ડિજિટલ સાધનોના પ્રતિબંધ માટે શાળાકક્ષાએ જુદા જુદા શિક્ષણ વિભાગના તજજ્ઞો સાથે વિચારણા કરીને રાજ્ય સરકાર નિર્ણય લેશે. બાળકોની સાથે વાલીઓએ અને શિક્ષકોએ પણ કડક અમલ કરવો પડશે. વાલીઓને વિનંતી કરું છું નાના બાળકોને ફોન કે અન્ય ડિજિટલ ડીવાઇઝ અપાવી ન દેવો જોઈએ અને આ બાબતને ખૂબ જ ગંભીરતાથી વિચાર સાથે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ પણ ચિંતન કરી રહ્યું છે