હીરા ઉદ્યોગની મંદીનો વધુ એક ભોગ: સુરતમાં રત્નકલાકારે આર્થિક તંગીથી કંટાળી આપઘાત કર્યો…

સુરત: દેશના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો છે. સુરતના કામરેજ સ્થિત દેરોદ રોડ પર રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના વતની કપિલભાઈ મનુભાઈ નિમાવત (ઉ.વ. 45) નામના રત્નકલાકારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો છે. હીરાના કામમાં મંદી અને તેના પરિણામે ઊભી થયેલી આર્થિક તંગીથી કંટાળીને તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો અનુસાર ગઈકાલે કપિલભાઈએ દેરોદ ગામની સીમમાં ભુરખીયા ફાર્મ પાસે ઝેરી દવા પી લીધી હતી. 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને તાત્કાલિક કામરેજ સ્થિત સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. તેમના અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છે.
સરકારે રત્નકલાકારો માટે સહાય યોજનાની જાહેરાત
ઉલ્લેખનીય છે કે સુરતમાં હીરામાં મંદીના કારણે અનેક રત્નકલાકારોએ જીવન ટૂંકાવ્યું છે. રત્ન કલાકારોના અનેક પ્રશ્નોને ધ્યાને લઈ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે ઑલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ શનિવારે રાજ્ય સરકારે રત્નકલાકારોના હિત માટે વિવિધ સહાય યોજનાની જાહેરાત કરી હતી.
આપણ વાંચો : રત્નકલાકારો માટે સરકારે જાહેર કર્યું પેકેજ, જાણો કોને મળશે લાભ…