સુરતમાં બેવડી હત્યા: 5 વર્ષની બાળકી અને મજૂરની નિર્મમ હત્યાથી ખળભળાટ

સુરત: ડાયમંડ સિટી સુરતમાં આજકાલ ગુનાખોરી વધી રહી છે. અગાઉના વાક્યને સત્ય પુરવાર કરતા નવા બે કેસ સુરતમાં નોંધાયા છે, જેમાં બે હત્યાના કેસનો સમાવેશ થાય છે. બે પૈકી એક કેસ તો નાની બાળકીની હત્યાનો છે.
ઉત્તરપ્રદેશના સુલતાનપુરનો વતની સુરેશ વર્મા (ઉ. 48) પોતાના પરિવાર સાથે રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. અહીં તેને રાકેશ પટેલ નામના વ્યક્તિની એક આંબાવાડીમાં કામ મળ્યું હતું. આ આંબાવાડીને અશફાક રયાન નામના વ્યક્તિએ પોતાના ચાર સહભાગીઓ વિનોદ અગ્રવાલ, મહંમદ ઉમર મનિહાર, દશરથ મૌર્ય અને યાકુબ ગફાર સાથે મળીને ભાડે રાખી હતી.
આંબાવાડીમાં સુરેશ વર્મા સહિત 50 જેટલા મજૂરો આંબા પરથી કેરી ઉતારી તેના પેકિંગનું કામ કરતા હતા. આવા સમયે અશફાક રયાને સુરેશ વર્મા પર રૂપિયા 50,000ની કિંમતના 25 બોક્સ ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. સુરેશ પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા હતા. ત્યારે અશફાક રયાને તેને 20 મે 2025ના રોજ આંબાવાડીના ઝાડ સાથે સુરેશને બાંધીને ઢોર માર માર્યો હતો. અશફાકે સુરેશના ફોનથી તેની પત્નીને કોલ કરીને પતિના છોડવાના બદલામાં પૈસાની માંગણી પણ કરી હતી.
રાત્રે 11 વાગ્યાની આસપાસ ગંભીર રીતે ઘાયલ થયેલા સુરેશ વર્માએ દમ તોડ્યો હતો. જેથી તેની લાશને કારમાં લઈ જઈને કામરેજ તાલુકાના શામપુરા ગામ પાસેની કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. મોડી રાત્રે પણ પતિ ઘરે ન પહોંચતા સુરેશની પત્નીની ચિંતા વધી હતી. શોધખોળના નિષ્ફળ પ્રયાસ અને સુરેશના સાથીમજૂરો દ્વારા કોઈ મદદ ન મળતા તેની પત્ની અને પુત્રએ બારડોલી ખાતેના પોલીસ સ્ટેશને જઈ સુરેશના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ તથા શંકાના આધારે પોલીસે અશફાક રયાન અને તેના ચાર સહભાગીઓની પૂરપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં પાંચેય જણે ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે ગુનેગારો સામે હત્યા, પૂરાવાનો નાશ કરવો, પૈસા માટે ધમકાવવું જેવી ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો લગાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સિવાય સુરતમાં હવે બાળકી પણ સુરક્ષિત નથી. આ ઉક્તિને સાર્થક કરતો પણ એક કેસ સામે આવ્યો છે. કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં ઉત્તરપ્રદેશથી એક પરિવાર રોજીરોટીની શોધમાં આવીને રહેતો હતો. પરિવારમાં એક 5 વર્ષીય બાળકી પણ હતી. આ વિસ્તારમાં રાજસ્થાનથી આવેલો અને સ્થાનિક ફેક્ટરીમાં કામ કરતો 22 વર્ષીય યુવાન પણ રહેતો હતો. આ યુવાન તે બાળકીને નિયમિતપણે ચોકલેટ અને નાસ્તો આપતો હતો.
રવિવારની સવારે આ યુવાન બાળકીને મનાવી ચોકલેટ અપાવાના બહાને તેડી ગયો હતો. બાળકીના પરિવારને પણ આ વાત ખબર હતી, પરંતુ લાંબા સમય સુધી પોતાની બાળકી કે તે યુવાન પરત ન આવતા બાળકીના પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. બાળકીના પિતાએ તે યુવાન જે ફેક્ટરીમાં કામ કરતો હતો, તેનો સંપર્ક કર્યો હતો. યુવાન ત્યાં પણ ન મળતા તેઓ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પોલીસે તાત્કાલિક બાળકીના અપહરણનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો– રાજકોટમાં શનિવારે કોરોનાના 8 કેસ નોંધાયા, જાણો શહેરમાં કુલ કેટલા છે કેસ
આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે શરૂ કરેલી શોધખોળમાં બાળકીને સાથે લઈ ગયેલો યુવાન કેનાલ નજીક દેખાયો હતો. પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. શરૂઆતમાં યુવકે બાળકી ક્યાં છે. તેની ખબર ન હોવાનું રટણ કર્યું હતું. પરંતુ આખરે યુવાને બાળકીને તેના ઘરથી બે કિમી દૂર લઈ જઈને પથ્થર વડે માર મારી મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી. બાળકીની લાશ તેણે એક નાળામાં ફેંકી દીધી હતી.
ગુનેગાર યુવાને બતાવેલા નાળા પાસેથી પોલીસને બાળકીનો ઈજાગ્રસ્ત મૃતદેહ મળ્યો હતો. બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ત્યારબાદ ખબર પડશે કે યુવાને બાળકી સાથે જાતિય સતામણીનો પ્રયાસ કર્યો હતો કે નહી. પોલીસે યુવાન પાસેથી હત્યાનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે. ફોરેન્સિક રિપોર્ટ બાદ હત્યાનો ઉદ્દેશ સામે આવશે એવું પોલીસ જણાવી રહી છે.