સુરતના લિંબાયતમાં સરકારી જમીન પર ગેરકાયદે ઇમારત તોડી પડાઈ, ભાડું ઉઘરાવનારની દાદાગીરીનો અંત

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં સરકારી મિલકત પર ગેરકાયદેસર બનાવવામાં આવેલા બિલ્ડિંગનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. 36 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
શું છે મામલો
સુરતના લિંબાયત વિસ્તારમાં સરકારી મિલકત ઉપર દબાણ કરવામાં આવ્યો હોવાનું છેલ્લા ઘણા સમયથી ધ્યાન પર આવ્યું હતું, જેને લઇને મિલકતદારને વારંવાર નોટિસ પણ ફટકારવામાં આવી હતી. સરકારી જમીન ઉપર ત્રણ માળની ઇમારત ઊભી કરી દીધા બાદ આ સમગ્ર મામલો હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં પક્ષકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી કાયદાકીય લડત સરકાર સામે ઉપાડવામાં આવી હતી. આખરે સરકાર પક્ષે જમીન ખાલી કરાવવાનો આદેશ આવતા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે, 2021માં જ આ બિલ્ડીંગ ગેરકાયદેસર રીતે ઊભી કરી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યા બાદ વારંવાર જિલ્લા કલેકટર દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી પરંતુ, મિલકતદારે કબજો ખાલી ના કરતા ગુરુવારે મોટાપાયે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરીને સમગ્ર બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Dwarkaમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા હાઇકોર્ટની સરકારને લીલીઝંડી, તમામ અરજીઓ ફગાવી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ઘણા સમયથી લિંબાયત વિસ્તારમાં પર્વત પાટિયા સર્વે નંબર 11 બ્લોકની નંબર 36827 ચો.મીની યુએલસી કાયદા મુજબની સરકારી ફાજલ પડેલી જમીન ઉપર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. ઉત્તર દિશામાં નંદનવન તેમજ દક્ષિણ- પૂર્વેના ખોળે ઇન્ટરસિટી પ્રિકાસ્ટ ભાગીદારી પેઢી દ્વારા બિનઅધિકૃત બાંધકામ કરી દેવામાં આવ્યો હતો, જેને વારંવાર નોટિસ આપવા છતાં પણ મિલકતદાર દ્વારા મિલકત દૂર કરવામાં આવી રહી ન હતી. ગુરુવારે આખેઆખું બાંધકામ જે ગેરકાયદેસર હતું તેને દૂર કરી દેવામાં આવ્યું હતું.
દિનેશ પટેલ નામનો ઈસમ ગેરકાયદેસર બિલ્ડીંગ બનાવી ભાડું કમાતો હતો. કામગીરી દરમિયાન ત્રણ માળની બિલ્ડિગ સહિત ગેરકાયદે ઊભા કરવામાં આવેલ 100 થી વધુ ઝૂંપડા દૂર કરવામાં આવ્યા હતા.