સુરત

પેટા ચૂંટણીમાં આરોપોની વણજાર: જયેશ રાદડિયાએ AAP પર કર્યો પ્રહાર, કહ્યું બે મહિનાથી લીધો છે ઉપાડો

સુરત: ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે સુરત ખાતે કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભેંસાણ-વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારો માટે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના સંબોધતા ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર લાગેલા આરોપો પર નિવેદન આપ્યું હતું.

બે મહિનાથી ઉપાડો લીધો છે

જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, વિસાવદર વિધાનસભાની અંદર અમુક લોકો દ્વારા અમુક ઉમેદવાર દ્વારા જે પ્રમાણેનો અત્યારે માહોલ બગાડવામાં આવી રહ્યો છે. શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં કહીને તો બે મહિનાથી ઉપાડો લીધો છે. રાજનીતિમાં અનેક ચૂંટણીઓ આપણે લડ્યા છીએ. પણ જે પ્રમાણે માહોલ બગાડવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું આક્ષેપો ત્યારે લગાડાય જ્યારે એ આક્ષેપોને સાબિત કરવાની ત્રેવડ હોવી જોઇએ. ખુલ્લા મંચ પરથી ગમે તે બોલી શકાય. આક્ષેપ કરી શકાય પણ તમે જે આક્ષેપ કર્યા હોય એ તમારાથી સાબિત થવો જોઇએ.

જૂનાગઢ સહકારી બેંકમાં કોણે કૌભાંડ કર્યું?

જૂનાગઢ જિલ્લા સહકારી બેંક મામલે ગોપાલ ઇટાલિયાએ કરેલા આક્ષેપોનો જવાબ આપતા કહ્યું હતું કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક એટલે ખેડૂતોની બેંક અને જે પ્રમાણે બેંક ઉપર આક્ષેપો કરવામાં આવ્યા. જૂનાગઢ ગ્રામ્ય, વિસાવદર-ભેસાણનો વિસ્તાર 80-85 ટકાથી વધારે ખેતી આધારિત અને ખેડૂતોનો છે. તેમણે કહ્યું કે ભેસાણ તાલુકાની ત્રણ મંડળી હોય, વિસાવદર તાલુકાની મંડળી હોય કે જ્યાંથી ખેડૂતો ધીરાણ લે છે. આ ત્રણથી ચાર મંડળીમાં ગોટાળા વર્ષ 2012ના છે અને કિરીટ પટેલ આ બેન્કના ચેરમેન વર્ષ 2023માં બન્યા છે. તેમણે કહ્યું આ મામલે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે 2012થી ખેડૂતોના નામે પૈસા એ જે તે ગામનો તલાટી મંત્રી લઇ ગયા. તેમાં કિરીટ પટેલનો શું વાંક.

આપણ વાંચો:  સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ટ્રકે ત્રણ યુવાનોનો ભોગ લીધો, પરિવારમાં શોકનો માહોલ

ભાજપની ક્યારેય દુકાન બંધ થઇ નથી

વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવારના સમર્થનમાં મતદાન કરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, કિરીટ પટેલની જીત 110% નક્કી છે નક્કી છે. એ રથને કોઈ રોકી શકે એમ નથી. હાલના રાજકીય વાતાવરણ અંગે વાત કરતાં કહ્યું હતું કે ચૂંટણીનો માહોલ હોય એટલે 19 તારીખ સુધી આ ચાલશે. બે મહિના પહેલા દુકાનો ખુલી હતી તેને 19 જૂને 6 વાગ્યે તાળું વાગી જવાનું છે. આ બધા તકવાદી માણસો છે. એનો લાભ હોય તો દુકાન ખોલવાની નહીંતર દુકાન બંધ. તેમણે કહ્યું 2012 હોય, 2017 હોય કે 2022માં ભલે ભાજપ વિસાવદરમાં ચૂંટણી ન જીત્યું પણ ભાજપની ક્યારેય દુકાન બંધ થઇ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button