શોકિંગ, ગુજરાતમાં વધુ એક આપઘાતઃ સુરતમાં 23 વર્ષની યુવતીએ ભર્યું અંતિમ પગલું

સુરત: ગુજરાતના આપઘાતની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કડીમાં એક પરિવારના ત્રણ સભ્ય અને પાલનપુરમાં કોન્સ્ટેબલે અંતિમ પગલું ભર્યાના અહેવાલ વચ્ચે સુરતમાં એક યુવતીએ સ્સૂસાઈડ કર્યું છે. 23 વર્ષીય યુવતીએ મોડી રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં માનસિક તણાવને કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. આ ઘટના અંગે આઠવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના નવસારી બજાર વિસ્તારમાં આવેલા કાર્તિક એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતી યુવતીની ઓળખ કરવામાં આવી છે. યુવતીનું નામ અંજલિ અલ્પેશભાઈ વરમોરા છે, જે મોડેલ તરીકે વિવિધ કંપની અને એજન્સી સાથે કામ કરતી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી તે રેવન્યુ મોડેલ કાસ્ટિંગ એજન્સી સાથે સુરત અને અમદાવાદમાં કામ કરતી હતી.
મળતી વિગતો અનુસાર ગઈકાલે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે યુવતીએ પોતાના રૂમમાં આત્મહત્યા કરી હતી. પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ કોઈ જવાબ નહીં મળતા દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા અંજલિ લટકતી હાલતમાં મળી આવી હતી. આ દુઃખદ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આપઘાતની જાણ થતા જ આઠવા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અંજલિના પરિવારજનોના નિવેદનો પણ નોંધ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર બે રીલ્સ પોસ્ટ કરી હતી
આપઘાતના એક દિવસ પહેલા, અંજલિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે રીલ્સ પોસ્ટ કરી હતી, જે તેના માનસિક સંઘર્ષનો સંકેત આપે છે. એક રીલમાં ‘બધા જ વયા ગયા હોત તો વાંધો નહોતો પણ, વહાલા હતા ઇ વયા ગયાને ઇ ખટકે છે’ તેવું લખાણ હતું. જ્યારે તેની અંતિમ પોસ્ટમાં ‘આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઈ જ નથી તારા માટે’ તેવું લખાણ લખેલી રીલ હતી, જે તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ મૂકી હતી.
આ પણ વાંચો - કડીમાં વ્યાજખોરોના ત્રાસથી પતિ-પત્ની અને બાળકે જીવન ટૂંકાવ્યું; પોલીને મળી સ્યુસાઇડ નોટ
ઉલ્લેખનીય છે કે અંજલિની બે વર્ષ પહેલા સગાઈ પણ થઈ ચૂકી હતી. જોકે, તેના આપઘાતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસને શંકા છે કે માનસિક તણાવ જ આ આકરા પગલા પાછળ જવાબદાર હોઈ શકે છે. આઠવા પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે