વડા પ્રધાન મોદી એકતાનગરને આપશે મોટી ભેટઃ ૨૫ નવી ઈ-બસો ઉમેરાશે...
Top Newsનર્મદા

વડા પ્રધાન મોદી એકતાનગરને આપશે મોટી ભેટઃ ૨૫ નવી ઈ-બસો ઉમેરાશે…

નર્મદા: જિલ્લાના કેવડીયા સ્થિત એકતા નગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસર પર તા.૩૧ ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ એકતા નગરને અનેક વિકાસ કાર્યો અને પ્રવાસન આકર્ષણોની ભેટ આપશે.

આ પ્રસંગે વડા પ્રધાન મોદીના હસ્તે પ્રવાસીઓની સુવિધા માટે નવી ૨૫ ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવશે. હાલ એકતા નગરમાં પહેલાથી જ ૩૦ ઈ-બસો દોડતી હોવાથી હવે કુલ ૫૫ ઈ-બસો પ્રવાસીઓને સેવામા કાર્યરત રહશે. આ તમામ ઈ-બસો પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા પૂરી પાડે છે, જેથી એકતા નગરમાં પ્રવાસ વધુ આરામદાયક અને પર્યાવરણમિત્ર બને.

ઉલ્લેખનીય છે કે, નવી ઉમેરાયેલી ઈ-બસો ૯ મીટર લાંબી મિનિ એસી બસો છે, જે એક વખત ચાર્જ કર્યા પછી ૧૮૦ કિલોમીટર સુધી દોડી શકે છે. દરેક બસમાં બે ઇમર્જન્સી એક્ઝિટ બારીઓ સાથે દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહિલાઓ માટે અલગથી ૪ પિન્ક બેઠક તૈયાર કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકે.

એકતા નગરમાં ઈ-બસોની વધારાની ભેટ સાથે પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળશે અને પર્યટન ક્ષેત્રે નવી ઊર્જા સંચરિત થશે. વડા પ્રધાન મોદીની આ પહેલથી એકતા નગર ટકાઉ વિકાસ અને સ્માર્ટ ટૂરિઝમનું જીવંત મોડલ બની રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 5 જૂન 2021 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ના ભાગરૂપે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગરને ભારતનું પ્રથમ ઈ-સિટી બનાવવાની જાહેરાત લીધી હતી તે બાદ વાહન વ્યવહારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા તબબક્કાવાર રીતે કચેરીના ઉપયોગ માટે ઈ-કાર વાહનો, ઈ-રિક્ષા તેમજ 2 તબક્કામાં કુલ 55 ઈ- બસો પ્રવાસીઓ માટે સેવામાં મૂકીને પર્યાવરણ જાળવણી માટે આખા દેશને રાહ ચિંધી રહ્યું છે.

આ પણ વાંચો…આવતીકાલે એકતા પરેડમા જોવા મળશે બાવન ઊંટ સાથેની પરેડઃ જાણો આ ઊંટો વિશે…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button