ચૈતર વસાવાના કોર્ટે જામીન મંજૂર કર્યા, જાણો શું હતો મામલો

ભરૂચઃ આમ આદમી પાર્ટીનાં નેતા અને ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાના કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. લાફાકાંડમાં જેલમાં કેદ ચૈતર વસાવાને અગાઉ કોર્ટે વિધાનસભા સત્ર માટે 3 દિવસનાં પેરોલ આપ્યા હતા. જો કે, આ મુદ્દત પૂર્ણ થયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા હતા.
શું છે મામલો
થોડા મહિના પહેલા ડેડીયાપાડામાં આદિવાસી વિકાસ કચેરીની બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપના સંજય વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મારામારી થઈ હતી. સંજય વસાવાની ફરિયાદના આધારે દેડીયાપાડા પોલીસે ચૈતર વિરુદ્ધ ગુનો નોંધી, તેમની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ચૈતરના સમર્થકો રાજપીપળાની એલસીબી ઓફિસ બહાર એકઠા થયા હતા. જેના કારણે પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. ચૈતર વસાવા તેમના આક્રમક સ્વભાવના કારણે ઘણી વખત ચર્ચામાં આવે છે અને તેમના ઘણા વિવાદ પણ સામે આવી ચુક્યા છે.
પોલીસ સાથે ઘર્ષણ અને ફરજમાં રુકાવટ
ચૈતર વસાવા સામે પોલીસની ફરજમાં રુકાવટ અને અન્યનો જીવ જોખમમાં મૂકવાનો આરોપ કરતી ઘણી ફરિયાદો નોંધાઈ હતી. તેઓ અગાઉ પોલીસકર્મીઓનું અપમાન કરવા અને તેમની સાથે જાહેરમાં બોલાચાલી કરવા બદલ પણ ચર્ચામાં રહ્યા હતા.
ઔદ્યોગિક એકમમાં ગેરકાયદે પ્રવેશઃ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં બોઈલર બ્લાસ્ટ બાદ ચાર કામદારોના મોત થયા હતા. તે પછી ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે ઔદ્યોગિક એકમમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવા, અધિકારીઓને તેમની ફરજ બજાવતા અટકાવવા અને કામદારોના સંબંધીઓને ઉશ્કેરવાના આરોપમાં બુક થયા હતા. આ કેસમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.
વન અધિકારી પર હુમલો અને ખંડણી:
ચૈતર વસાવા પર વન અધિકારીને ધમકાવવા, હવામાં ગોળીબાર કરવા અને ખંડણી વસૂલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં તેઓ લગભગ છ અઠવાડિયા જેલમાં રહ્યા હતા.
હોટેલ મેનેજર પર હુમલોઃ
સપ્ટેમ્બર 2024 માં ચૈતર વસાવા અને તેમના 20 જેટલા સમર્થકો સામે ડેડીયાપાડામાં હોટેલ મેનેજર પર હુમલો કરવા, તોફાન કરવા અને ફોજદારી ધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો હતો, જ્યારે તેમને રેસ્ટોરન્ટના બિલ પતાવવા માટે કહેવામાં આવ્યું હતું.
આપણ વાંચો: સુરતઃ અમિત શાહે સી.આર. પાટીલના ઘરે બેઠકમાં શું કરી ચર્ચા?