ભરૂચ જિલ્લા કલેક્ટરે લગાવી ગુલાંટ, ચૈતર વસાવા સામે 75 લાખની લાંચના આક્ષેપ મુદ્દે શું કર્યો દાવો ?

ભરૂચઃ ગુજરાતમાં બે આદિવાસી નેતા વચ્ચે ભ્રષ્ટાચાર મુદ્દે છેડાયેલું શાબ્દિક યુદ્ધ તેજ બની રહ્યું છે. જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર અધિકારી પાસેથી 75 લાખ રુપિયાનો તોડ કર્યાનો આક્ષેપ મુક્યો હતો. જે બાદ નર્મદાના કલેક્ટર પાસે પહોંચીને ચૈતર વસાવાએ સવાલ પૂછ્યા હતા. તેમણે પૂછ્યું કે, સાંસદ મનસુખ વસાવા તમારું નામ લઈને કહેતા હતા કે મેં તમારી પાસેથી 75 લાખ માગ્યા હતા. મેં ક્યારે તમારી પાસે આ પૈસા માંગ્યા હતા. જેના જવાબમાં કલેકટરે કહ્યું- આ તદ્દન ખોટી વાત છે.
આ મામલે આજે સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે સ્વીકાર્યું હતું કે 75 લાખ રૂપિયાની માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી. આ માહિતી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર દ્વારા કલેક્ટરને જણાવવામાં આવી હોવાનું પણ કલેક્ટરે માન્યું હતું.
શું છે સમગ્ર મામલો
રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ વડા પ્રધાનના કાર્યક્રમના ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા હતા, જેના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ વળતો પ્રહાર કરતા ગંભીર ખુલાસા કર્યા હતા. મનસુખ વસાવાએ કયા વિભાગના અધિકારી પાસે ચૈતર વસાવાએ તોડપાણી માટે રુપિયા માગ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો, અને કલેકટરે તેમને ફરિયાદ કરી હોવાનો દાવો માંડ્તા કહ્યું કે માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી ચૈતર વસાવાએ 75 લાખની માંગણી કરી હતી. જેમને કલેકટરને રજૂઆત કરી હતી, તે બાદ કલેકટરે મને(મનસુખ વસાવા)ને સમગ્ર વાત કરી હતી. સાથે જ આરોપ કર્યો હતો કે ચૈતર વસાવાને ટેવ પડી ગઈ છે કે પહેલા મુદ્દો ઉછાડવાનો બાદમાં તોડપાણી કરી લેવાના!
ચૈતર વસાવાએ શું આપ્યો જવાબ
મનસુખ વસાવાના આક્ષેપોને ચૈતર વસાવાએ પાયા વિહોણા ગણાવતા કહ્યું હતું કે ‘અમે તમામ કાર્યવાહી માટે તૈયાર છીએ, અધિકારીઓ સરકારના છે કોઈપણ તપાસ માટે અમે તૈયાર છીએ, તમામ ભાજપ સાથે સંકળાયેલા છે આ એજન્સીઓ પણ બધી ભાજપના લોકોની છે. સરકાર એમની છે, પોલીસ એમની છે, કોઈપણ અધિકારીને આ કાર્યક્રમોને લઈને અમે કોઈ જાતના પૈસા માંગ્યા હોય તો એ લોકો ચૈતર વસાવા પર કાયદેસરની કાર્યવાહી કરે, અમે કહીએ છીએ કે જો આ પ્રકારના પુરાવા એમની પાસે હશે તો અમારા પર કાયદેસરની કાર્યવાહી કરે સરકાર જે કાર્યવાહી કરશે અમે સહજતાથી સ્વીકારી લઈશું.
આપણ વાંચો: સુરત જિલ્લામાં ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ, વોકલ ફોર લોકલને પ્રાધાન્ય…



