બોલો મગરમચ્છ ભાદરના વહેણથી 6 કિમી દૂર ખેતરમાં પહોંચ્યો | મુંબઈ સમાચાર

બોલો મગરમચ્છ ભાદરના વહેણથી 6 કિમી દૂર ખેતરમાં પહોંચ્યો

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના ભગાભાઈ સાવલિયાના કપાસના ખેતરમાં એક વિશાળકાય મગરમચ્છ જોતા જ લોકોમાં ભારે ભયની લાગણી પ્રસરી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ સ્થળ ભાદર નદીના પાણીના વહેણથી આશરે ૬ કિલોમીટર દૂર છે અને મગરમચ્છ સામાન્ય રીતે જળાશયોની આસપાસ જ હોય છે. આ અંગેની જાણ પાટણવાવના સરપંચે વનવિભાગને કરતા મહાકાય મચ્છરને ફોરેસ્ટ ઓફિસરે બે કલાકની જહેમત બાદ આ મગરમચ્છને પકડયો હતો અને ગીર જંગલમાં તેને મુક્ત કરાયો હતો. 

આ અંગે ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે આ મહાકાય મગરમચ્છ શિકાર કરીને પેટ ભરે છે, ભાદર નદી,ડેમ વિસ્તાર ધોરાજી પંથકમાં તે જોવા મળતો હોય છે પરંતુ તે પાણીમાં કે પાણીની નજીકમાં જ હોય છે, પ્રથમવાર પાણીથી આટલો દૂર મગરમચ્છ જોવા મળ્યો છે.


હાલમાં ભાદર નદીમાં ચોમાસાના વિરામ પછી પણ પાણી વહી રહ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં ગીર જંગલના સિંહ, દિપડાં સહિતના વન્ય પ્રાણીઓ તો વાડી,ખેતર અને  ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર દેખાતા હોય છે, હવે મગરમચ્છે પણ દેખા દીધી છે.

સંબંધિત લેખો

Back to top button