ગુજરાત કોંગ્રેસમાં ‘ફૂટેલી કારતૂસો’નો વિવાદ વકર્યો: મેવાણીએ કેજરીવાલને ઝાટક્યા, કોંગ્રેસને કર્યું સૂચન

અમદાવાદ: વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીથી ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેની એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચાના કેન્દ્રમાં છે. ‘ફૂટેલી કારતૂસો’ના નિવેદન મુદ્દે તેમણે પ્રતિક્રિયા આપી છે. તેમણે અરવિંદ કેજરીવાલના નિવેદનને વખોડી કાઢ્યું હતું અને કોંગ્રેસ પાર્ટીને પણ સૂચન કર્યું હતું.
આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ
વિસાવદર બેઠક પર આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલે વિસાવદરમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધતા કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ ગુજરાતની પ્રજાની નહિ પરંતુ ભાજપની સર્વિસમાં છે. આ નિવેદનને જીગ્નેશ મેવાણી હતું અને બકવાસ ગણાવ્યું હતું. તમને કહ્યું ચાર ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ. કોંગ્રેસના સિપાહીઓ 25 વર્ષથી તાલુકા અને જિલ્લા કક્ષાએ ભાજપ અને સંઘ પરિવાર સામે લડી રહ્યાં છે. આજે પણ અડીખમ ઊભા છે. તેઓ ડંડા ખાય છે, એફ.આઇ.આર વહોરે છે, જેલમાં જાય છે. તેમણે કહ્યું હતું કે આવા લોકોને પાર્ટીમાંથી બહાર કાઢીને પાર્ટીને ક્લીન કરવી જોઈએ.
કોંગ્રેસમાં ભડકો! જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ નેતાઓ પર સીધો પ્રહાર, કહ્યું “રાહુલ જીનું તો માનો….”
ગઇકાલે પણ કરી હતી પોસ્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ પોતાની X પોસ્ટમાં આકરા શબ્દોમાં લખ્યું છે કે, “હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે. કાઢો ને, શેની રાહ જુઓ છો? બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા – આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં?? મારું નહીં તો રાહુલ જીનું તો માનો !!”
શક્તિસિંહ ગોહિલે પણ કરી હતી ટિપ્પણી
જીગ્નેશ મેવાણીની પોસ્ટથી ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓની કામગીરી અને નિષ્ક્રિયતાથી અત્યંત નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. ‘બી ટીમ’, ‘ફૂટેલી કારતૂસો’, અને ‘સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા’ જેવા શબ્દપ્રયોગો કોંગ્રેસના આંતરિક જૂથવાદ અને કેટલાક નેતાઓના પક્ષ પ્રત્યેની નિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા. આ મુદ્દે શક્તિસિંહ ગોહિલે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ઘરની વાતને ઘરના માધ્યમ પર રાખવી જોઇએ. ત્યારે હવે જીગ્નેશ મેવાણીએ આ મામલે નિવેદન આપીને પાછું વાળવાનો પ્રયત્ન કર્યો છે.