કોંગ્રસ કાર્યાલયે સ્થિતિ વણસી : આમને સામને પથ્થરમારો કરતાં પોલીસ કર્યો લાઠીચાર્જ
![The situation worsened at the Congress office: the police resorted to lathi charge while pelting stones at them](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-02-at-19.03.06_8ae9f453-780x470.jpg)
અમદાવાદ: સંસદમાં રાહુલ ગાંધીએ આપેલ નિવેદનને લઈને સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને આજે ભાજપના કાર્યકરો દ્વારા આજે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. જેને લઈને કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમ છતાં બન્ને પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. અહી પોલીસની હાજરી હોવા છતાં પણ ઘર્ષણની સ્થિતિ સર્જાય છે.
કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ એકત્ર થયા હતા. બંને પક્ષ તરફથી હિંસક પ્રવૃતિઓ કરવામાં આવી હતી. સામસામે બંને પક્ષે પથ્થરમારો કર્યો હતો અને દંડા ફેંક્યા હતા. વિરોધ માટે પહોંચેલા ભાજપના કાર્યકર્તાઓએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા અને બાદમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાજપના કાર્યકારો અને પોલીસ પણ સામસામે આવી ગઇ હતી. અંતે પરિસથી વણસતા પોલીસ લાઠીચાર્જ કર્યો હતો. પથતરમારો કરનાર લોકોની ટીંગાટોળી કરીને અટકાયત કરવાંમાં આવી હતી.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-02-at-19.02.49_72c5727b-1024x547.jpg)
આ સાથે ભાજપના કાર્યકરોએ પાલડી ચાર રસ્તા પર દેખાવો કરીને રસ્તો રોકી દીધો હતો, જેથી મોટો ટ્રાફિક જામ થયો હતો. ભાજપના કાર્યકરોએ રસ્તામાં બેસીને પોલીસની ગાડીને રોકી લીધી હતી. જો કે પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. જો કે આ મામલે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે અમારા પક્ષના કાર્યકર્તાઓ શાંતિપૂર્વક માત્ર સ્લોગન બોર્ડ લઈને જ વિરોધ કરવા પહોંચ્યા હતા પરંતુ કોંગ્રેસના કાર્યકરો દ્વારા પથ્થરમારો અને એસિડ-દારૂની બોટલો ફેંકવામાં આવી હતી. આથી અમારા પાંચ કાર્યકરો ઘાયલ થયા છે. અમદાવાદ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા વિરુદ્ધ એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-02-at-19.03.07_80e7f0dd.jpg)
આજે ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયે વિરોધ કરવા માટે પહોંચ્યા તે દરમિયાન તેમને અટકાવવામાં આવ્યા હતા અને આ દરમિયાન જ તેના કાર્યકરો એકઠા થવા લાગ્યા હતા. બાદમાં પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો. જેની સામે કોંગ્રેસ કાર્યકર્તાઓએ પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસની હાજરી હોવા છતાં સ્થિતિ વણસી હતી અને અંતે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારી વચ્ચે ઘર્ષણમાં એસીપીને પગના ભાગે ઇજા પહોંચી હતી.
આજે વહેલી સવારથી જ રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસ કાર્યાલય પર ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસની લીગલ ટીમે આ બાબતે બેઠક કરીને સાંજ સુધીમાં ફરિયાદ નોંધાવવાની વાત કરી છે. જો કે કોંગ્રેસ પક્ષ, યૂથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયથી જ વિરોધ કર્યો હતો. બજરંગ દળ અને VHP દ્વારા આજે વહેલી સવારે પોસ્ટર ફાડીને અને રાહુલ ગાંધીના પોસ્ટર પર સ્પ્રે મારીને વિરોધ કર્યો હતો. તો કોંગ્રેસે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના બેનર સાથે વિરોધ કર્યો હતો