ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો પ્રારંભ, મહિલાઓને 10 હજાર રૂપિયા આપવા માંગ

થરાદ : ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ રેલીનો શુક્રવારથી આરંભ કરાયો હતો. પરિવર્તનના શંખનાદ સાથે વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ગામે ધરણીધર ભગવાનના મંદિરેથી કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો આરંભ થયો છે. જેમાં બિહારની જેમ ગુજરાતની મહિલાઓને રૂ.10,000 આપવાની માંગ કરી હતી.
જન આક્રોશ યાત્રા 7 જિલ્લામાં ભ્રમણ કરશે
કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રા ખેડૂતો અને બેરોજગાર યુવાનો મુદ્દે સતત 60 દિવસ સુધી વિવિધ 1100 કિલોમીટરના રૂટ પર વિવિધ સ્થળોએ ફરશે. ઉત્તર ગુજરાતમાં પ્રથમ વાવ-થરાદ, બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને પાટણ એમ 7 જિલ્લામાં ભ્રમણ કરશે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકે ધરણીધર ભગવાનના મંદિરે દર્શન કરી કોંગ્રેસની આ જનઆક્રોશ યાત્રાનો આરંભ કરાવ્યો હતો. આ તકે પત્રકારો સાથેની વાતચીતમાં અમિત ચાવડા અને મુકુલ વાસનિકે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.
આપણ વાચો: ખેડૂતો માટે કૉંગ્રેસ આવતીકાલથી મેદાનેઃ સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં આક્રોશ યાત્રા…
બિહારની જેમ મહિલાઓને પણ મહિને 10,000 રૂપિયા આપો
કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું કે ગુજરાતની ભાજપ સરકારે લોકોની તમામ સમસ્યાઓ દૂર કરવાની વાત કરી હતી. પણ આજે વર્ષો પછી પણ ગુજરાતના કરોડો લોકો મૂળભૂત સુવિધાથી વંચિત છે.
શિક્ષણ, રોજગારી, કાયદો અને વ્યવસ્થા, દબાયેલા-કચડાયેલા લોકોની વાત હોય, મહિલાઓ, ખેડૂતો, ખેત મજૂરો, શહેર અને ગ્રામ્યના તમામ લોકો હેરાન છે. હાલમાં બિહાર ચૂંટણી પહેલા દોઢ કરોડ મહિલાઓને રૂ.10,000 આપવામાં આવ્યાં. પણ ગુજરાતની મહિલાઓને કાંઈ આપવામાં આવ્યું નથી. બિહારની મહિલાઓને કહેવામાં આવ્યું કે સરકાર 2,10,000ની સહાય કરશે જેનાથી આ મહિલાઓ નાનો-મોટો ધંધો કરી શકશે.
ગુજરાતની મહિલાઓને આવી સહાયથી વંચિત રાખવામાં આવી છે. આવી ઘણી બાબતો છે જેને જન આક્રોશ યાત્રા દરમિયાન અમે લોકોની સામે લાવીશું. જો સરકાર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગશે નહીં તો આ યાત્રા અને લોકોના સહયોગથી અમે સરકારને ઉખાડી ફેંકીશું.



