રાજકોટ ખાતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ડી.વાય ચંદ્રચુડના હસ્તે ₹ ૧૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરાશે

રાજકોટ: રાજકોટ ખાતે આગામી તા. ૦૬ જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ડી.વાય ચંદ્રચુડના હસ્તે નવી કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરાશે. રાજ્યના કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. ₹૧૧૦ કરોડના ખર્ચે રાજકોટ ખાતે ૩૬,૫૨૦.૦૦ ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં ૦૫ માળના આ નવા ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ કોર્ટ બિલ્ડીંગમાં ૫૨ કોર્ટરૂમની સુવિધા તેમજ ન્યાયાધીશશ્રીઓ માટે લાઈબ્રેરી તેમજ વિડીયો કોન્ફરન્સ હોલ, વકીલશ્રીઓ માટે બારરૂમ, સરકારી વકીલશ્રીઓ માટે ચેમ્બરો, જજીસશ્રીઓ માટે ચેમ્બરો, કોર્ટનાં સ્ટાફ તથા અરજદારશ્રીઓ માટે કેન્ટીન, કોર્ટનાં સ્ટાફ – અરજદારશ્રીઓ માટે પાર્કીંગ તથા જજીસશ્રીઓ માટે અલગથી પાર્કીંગ, લેડીઝ-જેન્ટસ ટોઈલેટ, સેન્ટ્રલ રેકર્ડ રૂમ તથા મુદ્દામાલ રૂમ અને સીસીટીવી સર્વેલન્સ સાથેની વિવિધ સવલતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ દિવ્યાંગો માટે ટોઈલેટ તથા રેમ્પ વગેરે સવલતોનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે.

અંદાજિત ૭૫૦ થી ૮૦૦ વ્યક્તિઓનો સ્ટાફ કાર્યરત રહી શકે તેવું સુવિધાસભર આ નવીન બિલ્ડીંગ તૈયાર કરાયું છે.
હાલ ૩૯ કોર્ટો રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળે બેસીને ન્યાયિક કાર્ય કરે છે. આ નવું બિલ્ડિંગ બનવાથી ૫૨ કોર્ટો એક જ સ્થળે બેસીને કાર્ય કરી શકશે, જેનાથી ન્યાયિક પ્રક્રિયાને વેગ મળશે.

આ કાર્યક્રમમાં સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિશ્રી અરવિંદ કુમાર, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિશ્રી સુનિતા અગ્રવાલ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ શ્રી એન. વી. અંજારીઆ, રાજકોટના એડમીનીસ્ટ્રેટીવ ન્યાયમુર્તિ શ્રી એ.જે.શાસ્ત્રી, ગુજરાત હાઈકોર્ટના અન્ય ન્યાયમુર્તિ તથા રાજકોટ જિલ્લા મુખ્ય ન્યાયધીશશ્રી આર.ટી.વાછાણી, કાયદા સચિવશ્રી પી.એમ.રાવલ તથા રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી બકુલ રાજાણી ઉપસ્થિત રહેશે.